Banaskantha : રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ખેતરોમાં ફરી વળ્યા પાણી, ખેડૂતોને ભારે નુકસાન

Banaskantha: રાજ્યમાં 15 જૂને બિપરજોય વાવાઝોડુ ત્રાટક્યુ અને બનાસકાંઠા સહિતના જિલ્લામાં ભાર વિનાશ વેર્યો. જો કે વાવાઝોડા બાદ પણ ખેતરો હજુ પાણીમાં ગરકાવ છે. પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે.

Banaskantha : રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ખેતરોમાં ફરી વળ્યા પાણી, ખેડૂતોને ભારે નુકસાન
| Edited By: | Updated on: Jun 20, 2023 | 11:25 PM

Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની જાણે માઠી દશા બેઠી છે. તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે. બનાસકાંઠામાં પહેલા બિપરજોય વાવાઝોડાએ નુકસાની વેરી અને બાકી જે કંઈ બચ્યુ હતુ તે રાજસ્થાનમાં 17 જૂને આવેલા ભારે વરસાદને કારણે નાશ પામ્યુ. રાજસ્થાનના વરસાદી પાણી સીધા બનાસકાંઠા તરફ ફરી વળ્યા, ઉપરવાસમાં આવેલા વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતરો હજુ પણ પાણીમાં ડૂબેલા છે.

2015 અને 2017 બાદ 2023માં પણ સુજલામ સુફલામ કેનાલ તૂટી

થરાદના આસોદર, ખેંગારપુરા, ગામના ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બંધ પડેલી સુઝલામ સુફલામ કેનાલમાં વરસાદી પાણી ભરાવાને કારણે કેનાલ ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. આ પહેલા 2015 અને 2017માં પણ સુજલામ સુફલામની કેનાલ તૂટી હતી. ફરી 2023માં એ જ ઘટનાનું પુનરાવર્તન થયુ છે.

સુજલામ સુરલામ કેનાલ ઓવરફ્લો થતા 10 હેક્ટર જમીન પર ફરી વળ્યા પાણી

સુજલામ સુફલામ કેનાલ ઓવરફ્લો થવાને કારણે આસોદર અને ખેંગારપુરા ગામની સીમમાં 10 હેક્ટર જમીન તળાવ બની ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા બે સિઝન ફેલ જશે તેવી ચિંતા ખેડૂતોની છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આટલું મોટું નુકસાન થયા બાદ પણ સુજલામ સુફલામ યોજનાના કોઈ પણ અધિકારી આ વિસ્તારમાં ફરક્યા સુદ્ધા નથી. પાણી ભરાવાને કારણે પાકને તો નુકસાન થયું જ છે, પણ હવે સ્થિતિ એવી છે કે પશુઓને નાખવા માટે ઘાસચારો પણ નથી.

આ પણ વાંચો: Banaskantha: ધાનેરામાં બે દિવસથી વરસેલા અવિરત વરસાદે 2017ના પૂરની અપાવી યાદ, અનેક વિસ્તારો બન્યા જળમગ્ન

બે દિવસથી ખેડૂતો મુશ્કેલીમાં પણ ના તો કોઈ અધિકારી આવ્યા કે ન તો કોઈ મંત્રી ફરક્યા

ખેડૂતોની ફરિયાદ એ જ છે કે હાલત આટલી કફોડી હોવા છતાં કોઈ અધિકારી કે નેતાને અહીંની મુલાકાત લેવાની પણ ફૂરસદ નથી. 15 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ વિકટ છે ત્યારે આ ખેડૂતોની એક જ માગ છે કે સરકાર હવે આ ખેડૂતોની વ્હારે આવે અને તેમને મુશ્કેલ સમયમાંથી ઉગારે.
ઈનપુટ ક્રેડિટ- દિનેશ ઠાકોર- બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:08 pm, Tue, 20 June 23

Follow Us
Loading...
Unable to load recommendations.