Banaskantha : અંબાજીમાં પ્રસાદ પર આરપાર ! વેપારીઓ આજે બંધ પાળશે તો વિશ્વ હિંદુ પરિષદ વિરોધ પ્રદર્શન સાથે કરશે ધરણા

બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં મોહન થાળ પ્રસાદ બંધ થવાનો વિવાદ હવે વકર્યો છે.આજે અંબાજીમાં વેપારીઓ સજજડ બંધ પાળશે. તો સાથે જ વિશ્વ હિંદુ પરિષદ પણ વિરોધ પ્રદર્શન સાથે ધરણા કરશે.

Banaskantha : અંબાજીમાં પ્રસાદ પર આરપાર ! વેપારીઓ આજે બંધ પાળશે તો વિશ્વ હિંદુ પરિષદ વિરોધ પ્રદર્શન સાથે કરશે ધરણા
| Edited By: | Updated on: Mar 11, 2023 | 9:21 AM

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા સ્થાનિક લોકો અને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે, 10 દિવસ બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજે વેપારીઓએ સજજડ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. તો વેપારીઓની સાથે વિશ્વ હિંદુ પરિષદ પણ વિરોધ પ્રદર્શન સાથે ધરણા કરશે.

મોહન થાળ પ્રસાદ બંધ થવાનો વિવાદ હવે વકર્યો છે. માહિતી મુજબ આવતા મંગળવારે હાઇકોર્ટમાં પ્રસાદ મામલે PIL દાખલ થઈ શકે છે.મહત્વનું છે કે હોળી ધુળેટી રજા હોવાથી આવતા અઠવાડિયામાં અરજી દાખલ કરવામાં આવશે.

પ્રસાદ વિવાદનો હજુ સુધી કોઈ ઉકેલ નહીં

તો અંબાજી મંદિરમાં સર્જાયેલા પ્રસાદ વિવાદ વચ્ચે પ્રથમવાર જિલ્લા કલેક્ટર મીડિયા સમક્ષ આવ્યા હતા. જો કે કલેક્ટર આનંદ પટેલે પ્રસાદ વિવાદ મુદ્દે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું. કલેક્ટર આનંદ પટેલે માઇભક્તોને પ્રસાદના વિષયમાં બેફીકર રહેવાની હૈયાધારણા આપી હતી.

કલેક્ટરે મા અંબાની સાક્ષીએ દાવો કર્યો હતો કે મંદિરમાં આવતો એક એક રૂપિયો પ્રજાના હિતમાં વપરાય છે અને દાનમાં મળેલી રકમમાંથી કોઇને પણ કમાણી કરવામાં રસ નથી. પ્રસાદ વિવાદ વિશે પૂછાયેલા સવાલમાં કલેક્ટરે કહ્યું કે, રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને વહેલી તકે આ વિવાદ ઉકેલાય તેમાં અધિકારીઓને રસ છે.હાલ પ્રસાદ વિવાદ ઉભોને ઉભો છે,ત્યારે ભક્તોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ રૂપે યથાવત રહી શકે છે.

વિધાનસભામાં પણ ગૂંજ્યો મોહનથાળનો મુદ્દો

અંબાજીના પ્રસાદ મુદ્દે વિરોધના વંટોળ બાદ રાજકારણ પણ ગરમાયું છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલે વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. હોબાળો થતા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ચીકીના પ્રસાદનો બચાવ કરવા મામલે નારેબાજી કરી હતી. જેની સામે ભાજપના ધારાસભ્યોએ મોદી મોદીના નારા શરૂ કરી દીધા.

Published On - 7:37 am, Sat, 11 March 23