
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો છે. પાલનપુરની મતદાર યાદીમાંથી કુલ 25 નેપાળી નાગરિકોના નામો રદ કરવામાં આવ્યા છે. આ નામો વર્તમાન મતદાર યાદીમાં અને આશ્ચર્યજનક રીતે 2002ની મતદાર યાદીમાં પણ સામેલ હતા. આ વિગત સામે આવતા જ ચૂંટણી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ઘણા વર્ષો અગાઉ નેપાળમાંથી આવેલા કેટલાક પરિવારો પાલનપુરમાં સ્થાયી થયા હતા. આ પરિવારો સામાન્ય રીતે ગુરખા તરીકે ઓળખાય છે. આ નેપાળી નાગરિકોએ કાયદેસર રીતે ભારતીય નાગરિકતા ન હોવા છતાં, ચૂંટણી કાર્ડ પણ બનાવી લીધા હતા અને તેમના નામો મતદાર યાદીમાં દાખલ થઈ ગયા હતા. હાલમાં ચાલી રહેલા મતદાર યાદીના સ્પેશિયલ સમરી રિવિઝન 2025 (SIR 2025) કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીઓની ઊંડાણપૂર્વક ચકાસણી ચાલી રહી છે. આ ચકાસણી દરમિયાન 2002ની મતદાર યાદી તપાસવામાં આવતા આ 25 નેપાળી નામો સામે આવ્યા હતા. તંત્ર દ્વારા આ ગેરરીતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે આ તમામ નામો મતદાર યાદીમાંથી રદ કરી દેવામાં આવ્યા છે.
25 Nepali names removed from voter list in Palanpur#Banaskantha #SIR2025 #SIR #BLO #GujaratSIR #Gujarat #TV9Gujarati pic.twitter.com/JVlhXbkj9i
— Tv9 Gujarati (@tv9gujarati) November 29, 2025
જોકે, સૌથી મોટો અને ચિંતાજનક પ્રશ્ન એ છે કે, વિદેશી નાગરિકોના નામ ભારતીય મતદાર યાદીમાં કઈ રીતે સામેલ થયા? સ્થાનિક લોકો જ્યારે મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા અથવા સુધારવા માટે સંઘર્ષ કરતા હોય છે, ત્યારે નેપાળી નાગરિકોના નામ આટલા વર્ષો સુધી યાદીમાં રહે તે ગંભીર બાબત છે. આ ઘટના મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા અને તેમાં સામેલ અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવી શકાય અને મતદાર યાદીની વિશ્વસનીયતા જાળવી શકાય.