ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સમાજના કુરિવાજો, ખોટા દેખાડા, દેખાદેખીમાં થતા ખર્ચા અને વ્યસન મુક્તિ માટે સમાજનું એક 16 સૂત્રીય બંધારણ ઘડ્યુ છે. સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ બંધારણને લઈને સમાજમાં દબાયેલા સૂરે પણ અવાજ ઉઠવાનું શરૂ થયુ છે. તો બીજી તરફ ઓગડ તાલુકાના ભલગામમાંથી જે દૃશ્યો સામે આવ્યા છે તે તો બંધારણના નિયમોનો ઉલાળિયો કરી રહ્યા છે. ભલગામમાં વરઘોડામાં જાહેરામાં ફાયરિંગ કરવામાં આવ્યુ. ફિલ્મી ગીતો પર નોટોના વરસાદ સાથે બંદૂકના ભડાકા કરવામાં આવ્યા. રજપૂત લગ્નના વરઘોડાનો આ વીડિયો વાયરલ થયો છે. જો કે આ વરઘોડામાં પોલીસ કર્મચારીઓ પણ હાજર હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસ તપાસમાં શું કાર્યવાહી કરશે તે પણ મોટો સવાલ છે.
બંધારણનો મુદ્દો બાજુ પર મુકીએ તો પણ વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવું એ જાહેરનામાનો ભંગ મનાય છે. ત્યારે ઓગડ તાલુકાના ભલગામમાં વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું. એ પણ પોલીસની હાજરીમાં તે સુરક્ષા અને નિયમોના પાલન સામે અનેક સવાલ ઉભા કરે છે.
ઉલ્લેખનીય છે કે આ તરફ ઠાકોર સમાજનું બંધારણ લાગૂ થયા બાદ પણ સતત વિવાદો સામે આવી રહ્યા છે અને નિયમો ભંગ કરનારાઓને સમાજની બહાર પણ મુકાયા છે. એક તરફ સમાજના શ્રેષ્ઠીએ સમગ્ર ગુજરાતમાં ફરીને સમાજ સુધારણા માટેના કામો કરી રહ્યા છે. સમાજની બદીઓ દૂર કરવા માટે આગળ આવ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક લોકો એ જ નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યા છે.