
મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં આવેલુ બાંઘલિયા તળાવ હાલ અત્યંત ગંદકીથી ખદબદી રહ્યુ છે. મંદિરની લગોલગ અડીને આવેલા આ તળાવમાં બસ સ્ટેન્ડના શૌચાલયના અને ગટરોના ગંદા પાણી ઠલવાઈ રહ્યા છે. જેના કારણે તળાવમાંથી અસહ્ય માથુ ફાડી નાખતી દુર્ગંધ આવી રહી છે. બીજી તરફ નિયમિક સાફસફાઈના અભાવે તળાવ હાલ જળકુંભી નામની વનસ્પતિથી આખેઆખુ ઢંકાઈ ગયુ છે. એવુ નથી કે આ તળાવી સાફ સફાઈ માટે કોઈ સરકાર ગ્રાન્ટ નથી આવતી. તળાવના બ્યુટિફિકેશન માટે ત્રણ ત્રણવાર સરકારી ગ્રાંટ ફાળવવા છતા સ્થાનિક તંત્ર દ્વારા તળાવના નવિનીકરણના વિકાસના કોઈ જ કામો કરાયા નથી. વિકાસ તો છોડો તળાવની જે નિયમિત સાફસફાઈ થવી જોઈએ તે પણ થઈ રહી નથી.
સ્થાનિક સત્તાધિશોની તળાવ પ્રત્યેની ઉપેક્ષાને પરિણામે ઐતિહાસિક ધરોહર ગણાતુ આ બાંધલિયા તળાવની બાંધણી સંપૂર્ણપણે વિખાઈ રહી છે. તળાવ દુર્દશાની ભેટ ચડી રહ્યુ છે. જો આમ ને આમ લાંબો વખત ચાલશે તો એવુ કહેવુ પડશે કે એક સમયે અહીં ઐતિહાસિક તળાવ હતુ. આ ઐતિહાસિક વિરાસત નું અસ્તિત્વ ભૂંસાઈ ન જાય અને તે ભૂતકાળ ન બની જાય તે પણ તેની જાળવણી જરૂરી છે.
સ્થાનિકો પણ હાલ તળાવનું સત્વરે નવિનીકરણ કરી વિકાસ કરવાની માગ કરી રહ્યા છે. બહુચરાજી માતાજીના મંદિરે લાખો દર્શનાર્થીઓ આવતા હોય છે. એવા સમયે રાજાશાહી સમયવું આ ઐતિહાસિક તળાવ તેની મૂળ ઓળખ ગુમાવી રહ્યુ છે. ગાયકવાડના સમયનું આ તળાવમાં વરસાદી પાણીને બદલે ગટરો અને શૌચાલયોનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યુ છે જેના કારણે પણ ભયાનક રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને કારણે તળાવના નવીનીકરણ માટે ફાળવાયેલી સરકારી ગ્રાંટ પણ પરત જતી રહી છે.
તંત્રની બેદરકારીને કારણે વિશ્વવિખ્યાત ઐતિહાસિક તળાવની દુર્દશા થઈ છે અને આ વાતનો સ્વીકાર તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશ મકવાણા પણ કરી રહ્યા છે. હાલ રહી-રહીને પણ તંત્રની આંખ ઉઘડી હોય તેમ લાગી રહ્યુ છે અને મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા આગળનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મંદિરના વહીવટદાર સંજય ઠાકોરના જણાવ્યા મુજબ, આગામી ફેઝ-2 પ્રોજેક્ટ હેઠળ મંદિરની આસપાસના 500 મીટરના સમગ્ર પરિસરનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. જેમાં દૂર-દૂરથી આવતા યાત્રિકો માટે યાત્રિક ભવન, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને મંદિરની બાજુમાં આવેલા બાંધલિયા તળાવને આકર્ષક રીતે વિકસાવી ત્યાં વોક-વે સહિતની આધુનિક સગવડો ઊભી કરવામાં આવશે.
એક તરફ યાત્રાધામ બહુચરાજીમાં સ્વચ્છતાના મોટા બોર્ડ લાગેલા છે અને બીજી તરફ મંદિરનું કરોડોના ખર્ચે નવનિર્માણ થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ મંદિરના પ્રવેશદ્વાર પાસે જ આવેલું આ ઐતિહાસિક તળાવ તંત્રની બેદરકારીની પોલ ખોલી રહ્યું છે બહુચરાજી નગરપાલિકા બન્યા છતાં વર્ષો જૂની આ ગંદકીની સમસ્યા ઉકેલાઈ નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે કાગળ પર રહેલી યોજનાઓ ક્યારે જમીન પર ઉતરે છે અને ક્યારે આ બાંધલિયા તળાવને ક્યારે સ્વચ્છ કરી તેને નવિનીકરણના વાઘા ચડાવવામાં આવે છે.
Input Credit- Manish Mistri- Mehsana
Published On - 4:52 pm, Sat, 29 August 26