વરસાદ ખેંચાવા લાગતા હવે ખેડૂતોના જીવ તાળવે ચોંટવા લાગ્યા છે. ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે, પરંતુ વરસાદ આવતો નથી. હવે ખેડૂતોની ચિંતાઓ વધવા લાગી છે. ક્યાંક થયેલી વાવણી નિષ્ફળ જવાની ચિંતા છે, તો ક્યાંક વાવણીની શરુઆત માટે રાહ જોવાઇ રહી છે.
સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જીલ્લામાં ગત વર્ષે સારા વરસાદના પરિણામે મોટા ભાગના જળાશયો (Reservoirs) છલોછલ ભરાયા હતા. જેને લઇને વિસ્તારમાં ખેડૂતોને ઉનાળુ સિઝન અને રવિ સિઝનમાં સિંચાઇની રાહત સર્જાઇ હતી. જૂલાઇ મહિનાની શરૂઆતે મોટાભાગના જળાશયો (Reservoirs) માં પાણીના સ્તર નિચા ઉતર્યા છે, તો કેટલાક જળાશયો તળીયા ઝાટક છે.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નાના અને મોટા થઇને કુલ ચૌદ જેટલા જળાશયો આવેલા છે. જે પૈકી 40 ટકા કે તેથી વધુ પાણીનો ઝથ્થો ધરાવતો માત્ર એક જ જળાશય છે. જ્યારે 25 ટકાથી ઓછો જળ સ્ત્રોત ધરાવતા જળાશયો 7 આવેલા છે. જ્યારે 25 થી 40 ટકા જળ ઝથ્થો ધરાવતા જળાશયો ચાર છે. આમ જો જોવામાં આવે તો ચોમાસાની શરુઆતે જળાશયો મહદઅંશે ખાલી છે.
હિંમતનગરથી લઇને દક્ષિણ સાબરકાંઠા જીલ્લાના વિસ્તાર માટે મહત્વનો ગણાતો ગુહાઇ ડેમ (Guhai Dam) ગત વર્ષ 100 ટકા વરસાદ વરસવા બાદ પણ અડધાથી વધુ ખાલી રહ્યો હતો. જેને લઇને વિસ્તારના ખેડૂતોથી લઇને પિવાના પાણી માટે ચિંતા સર્જાઇ હતી. પરંતુ હાથમતી જળાશય છલકાતા રાહત થઇ હતી. ગુહાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં યોગ્ય વરસાદ નહી વરસતા જળાશય ખાલી રહેવા પામ્યો હતો.
સાબરકાંઠા જીલ્લા માટે આધાર ધરાવતો ગુહાઇ જળાશય પણ માંડ 11 ટકા અને હાથમતી જળાશય (Hathmati Reservoirs) 34 ટકા જ પાણીનો જથ્થો ધરાવે છે અને તે ખેડૂતો માટે સિંચાઇનો મુખ્ય આધાર માનવામાં આવે છે. જ્યારે અરવલ્લીના વૈડી, લાંક અને વારાંણશી જેવા જળાશયો તળીયા ઝાટક છે. જોકે મેશ્વો (Meshwo) વાત્રક (Watrak) અને માઝુમ (Mazum) જેવા મહત્વના જળાશયોમાં પાણીનો ઝથ્થો થોડીક રાહત આપનારો છે. જોકે તે પણ કેટલા દિવસ સિંચાઇ પુરુ પાડે એ પણ સવાલ છે. એટલે કે તે જળાશયોમાં 35 થી 43 ટકા પાણીનો ઝથ્થો સંગ્રહાયેલો છે.
સાબરકાંઠા જીલ્લો
અરવલ્લી જીલ્લો