
આણંદ જિલ્લાના ચિખોદરા ગામમાં આવેલા ‘ભોલેનાથ ફટાકડા’ નામના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ફટાકડાંનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
ગોડાઉનમાં મોટી માત્રામાં ફટાકડાંનો જથ્થો હોવાથી આગ લાગતાની સાથે જ સતત ધડાકાઓના અવાજો સંભળાયા હતા. જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે તાત્કાલિક આસપાસના વિસ્તારોને ખાલી કરાવી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી હતી.
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે ગોડાઉનમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનોનો સંપૂર્ણ અભાવ હતો. ન તો ફાયર એક્સટિંગ્વિશર ઉપલબ્ધ હતા, ન તો ઇમરજન્સી સેફ્ટી સિસ્ટમ કાર્યરત હતી. આ ગંભીર બેદરકારીના કારણે આગ વધુ વિકરાળ બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકો અને સત્તાવાળાઓ વચ્ચે હવે મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું આ ગોડાઉન માટે પ્રાંત અધિકારીની યોગ્ય મંજૂરી લેવામાં આવી હતી? તેમજ ફાયર વિભાગની એનઓસી વિના આટલા મોટા પ્રમાણમાં ફટાકડાંનો જથ્થો કેવી રીતે સંગ્રહિત કરવામાં આવ્યો તે અંગે પણ તપાસની માંગ ઊઠી છે.
આ સમગ્ર ઘટનાએ વહીવટી તંત્રની કામગીરી અને દેખરેખ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે, જેથી ફાયર સેફ્ટી નિયમોના ભંગ અને બેદરકારી માટે જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે.
ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી ઇજા નોંધાઈ નથી. જોકે, આ ઘટનાએ સુરક્ષા નિયમોના પાલનને લઈ ગંભીર ચેતવણી આપી છે.
વીથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી
આ પણ વાંચો- Breaking News : અમદાવાદમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ, ગાજવીજ સાથે 6 જિલ્લામાં થશે મેઘમહેર, તોફાની પવન ફુંકાશે