પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે જેટી બનાવવાના વિરોધ વચ્ચે GPCB દ્વારા યોજાઈ લોકસુનાવણી, અસરગ્રસ્ત ગામોએ કરી રજૂઆત

અમરેલીમાં રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટ વિસ્તરણ અને આધુનિકરણ માટે જેટી બનાવવાનો અસરગ્રસ્ત ગામો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે GPCB દ્વારા આ અસરગ્રસ્ત 5 ગામોના લોકો માટે લોકસુનાવણીનું આયોજન કરાયુ હતુ. જેમા શિયાળ બેટ, રામપરા ભેરાઈ સહિત 5 ગામોના લોકોએ તેમની રજૂઆત કરી હતી.

| Edited By: | Updated on: Jul 23, 2024 | 6:52 PM

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા જાફરાબાદ પંથકમાં મસમોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક દરિયાકાંઠે એપીએમ પીપાવાવ પોર્ટ ટર્મિનલ લિમિટેડ કંપની વર્ષોથી ધમધમી રહી છે. ત્યારે હવે પીપાવાવ પોર્ટના વિસ્તરણ અને આધુનિકરણ માટેની જેટી બનાવવા જઈ રહ્યા છે.તે સંદર્ભે આજે પીપાવાવ પોર્ટમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંચાલિત સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળવા માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને લોક સુનાવણી યોજવામાં આવી હતી.

આ લોકદરબારમાં શિયાળ બેટ, રામપરા, કોવાયા, ભેરાઈ,ભચાદર, ઉંચેયા, વડ સહિત ગામડાના લોકો મોટી સંખ્યામાં લેખિત- મૌખિત રજૂઆતો કરવા માટે પોહચ્યા હતા. આ લોકદરબારમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. રામપરા ઉંચેયા ગામના સ્થાનિક સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ગામલોકોનો વિરોધ છે કે પોર્ટ દ્વારા જેટી આગળ વધારવામા આવશે તો ખારૂ પાણી ગામમાં આવશે અને પાણીના તળ ખારા થશે. કંપની સામે ગામલોકોનો એ પણ વિરોધ છે કે કંપનીમાં સ્થાનિકોને રોજગારી આપવાની વાતો થાય છે પરંતુ ગામના અનેક ભણેલા ગણેલા યુવાનો છે છતા તેમને રોજગારી આપવામાં આવતી નથી. ઉપરાંત ઉંચેયા ગામના સરપંચે પણ જણાવ્યુ કે કંપની રોજગારી નથી આપતી. CSR ફંડમાં વિસંગતાઓ છે. ગામલોકોની એકસૂરે માગ ઉઠી છે કે કંપની નિયમ પ્રમાણે ચાલે પોતાની મનમાની કે તાનાશાહી ન કરે.

આ લોકસુનાવણીમાં સ્થાનિકો સાથે પર્યાવરણ પ્રેમીઓ, વાઈલ્ડ લાઈફમાં કામ કરતા લોકો પણ તેમની રજૂઆત લઈને પોહચ્યા હતા. જેમાં પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ કહ્યું અહીં કંપની આવે તેનો અમને વાંધો નથી, પણ અહીં ગીધનો પણ વસવાટ છે, અહીં એશિયાટિક સિંહો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. વનવિભાગ સાથે પીપાવાવ પોર્ટની સિંહો માટે પણ જવાબદારી છે. એક પાણીની કુંડી સિંહો પાણી પીવે તે માટે દત્તક લેશે તો અમને ગૌરવ થશે. અહીં પીપાવાવ પોર્ટમાં આવતા રેલવે ટ્રેક ઉપર 25- 25 સિંહોના મોત થઈ ચુક્યા છે, જે અત્યંત દુઃખદ બાબત છે. અહીં સિંહોના મંદિર છે જ્યાં દીવાબત્તી, આરતીઓ કરવામાં આવે છે, ત્યારે પીપાવાવ પોર્ટ પણ સિંહોના સંરક્ષણ માટે આગળ આવે.

પીપાવાવ પોર્ટમાં લોક સુનાવણીમાં ભારે વિરોધના વંટોળ વચ્ચે લોકોએ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આ લોક સુનાવણી યોજવામાં આવી હતી. સમગ્ર મામલે સ્થાનિક લોકોના વિરોધ મામલે મીડિયા દ્વારા પીપાવાવ પોર્ટના અધિકારીઓ પાસે જવાબ માંગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ મીડિયા સમક્ષ કંઈપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. હવે આ 5 થી વધુ ગામડાના વિરોધ વચ્ચે પીપાવાવ પોર્ટ કેવી રીતે આગળ વિકસાવવશે તે સૌથી મોટો સવાલ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો