અમરેલીમાં ભરઉનાળે સર્જાઈ પાણીની તંગી, પાઈપલાઈનના અધૂરા કામથી રાજુલા, જાફરાબાદમાં તોળાયુ જળસંકટ- Video

એક તરફ ધોમધખતો તાપ પડી રહ્યો છે.  આકાશમાંથી સૂરજદેવ જાણે અગનગોળા વરસાવી રહ્યા છે, એવા સમયે જ અમરેલીમાં પાણીની તંગી સર્જાઈ છે. રાજુલા અને જાફરાબાદમાં પાઈપલાઈનના અધૂરા કામને કારણે જળસંકટ સર્જાયુ છે. હાલ પાઈપલાઈનની કામગીરી ઠપ્પ હોવાથી પાણી મળશે કે કેમ તે મોટો સવાલ છે.

| Edited By: | Updated on: May 02, 2025 | 4:56 PM

અમરેલી જિલ્લામાં આવેલા ધાતરવડી ડેમ-1માંથી રાજુલા અને જાફરાબાદ પંથકને પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ જૂની પાઇપલાઇન જર્જરિત હોવાથી નવી પાઇપલાઇન નાંખવાની મંજૂરી પણ મળી, પરંતુ નવી પાઇપલાઇન નાંખવાની કામગીરી ઠપ હોવાથી રાજુલા અને જાફરાબાદ એમ બંને નગરપાલિકાને પાણી મળશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.

હાલ કાળઝાળ ગરમી વચ્ચે બંને શહેરો પર જળસંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની ટીમ, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ તેમજ સ્થાનિકોએ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો. તેમજ જળસંકટને ટાળવા પાઇપલાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી.

થોડા દિવસો પહેલા ધાતરવડી ડેમમાંથી પાણીની પાઇપલાઇન નાંખવા મુદ્દે કેટલાક ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે પાઇપલાઇનની કામગીરી ટલ્લે ચઢી છે. જો અન્ય નગરપાલિકાના સંપ થકી બંને શહેરને પાણી મળે તો આવતા 25 વર્ષ સુધી પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. જો કે રાજુલા અને જાફરાબાદના લોકોએ ખેડૂતોનું નામ લીધા વગર અને વિવાદથી દૂર રહી બંને નગરપાલિકાને પાણી પુરૂ પાડવામાં આવે તેવી માગ કરી છે.

Input credit- Jaydev Kathi- Amreli

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો