અમરેલી (Amreli) જિલ્લાના વડિયામાં (vadiya) વાદળછાયા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવવામાં આવ્યો હતો. વડિયામાં સ્વતંત્રતા પર્વની તાલુકા કક્ષાની ઉજવણી મોટી કુંકાવાવ ખાતે કરવામાં આવી હતી. કુંકાવાવમાં બી.આર.સી. ભવન ખાતે વડિયા મામલતદાર એન.જે. ખોડભાયાના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.આ રાષ્ટ્રીય ઉત્સવમાં કર્મચારીઓ તેમજ ગ્રામજનો અને બાળકો જોડાયા હતા. કાર્યક્રમમાં અનેકતામાં એકતા દર્શાવતા વિવિધ કાર્યક્રમો અને ગરબા સહિતના નૃત્યો પણ રજૂ કર્યા હતા. સ્વંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
સ્વતંત્રતા પર્વના આગલા દિવસે અમરેલી શહેરમાં વસતા મુસ્લિ સમાજે પણ સ્વતંત્રતાનું પર્વ ઉજવતા ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં અમરેલી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. આ ત્રિરંગા યાત્રાને કોંગ્રેસ અને ભાજપ તેમજ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર તિરંગાયાત્રા દરમિયાન કોમી એખલાસની ભાવના જોવા મળી હતી.
ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની તાલાળા ગીર ખાતે માર્ગ અને મકાન અને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને કરવમાં આવી હતી. તેમજ ગીર સોમનાથ પોલીસની વિવિધ પ્લાટૂનનું મંત્રીએ ખુલ્લી જીપમાં નિરીક્ષણ કર્યું હતું. જેમાં મહિલા સશક્તિકરણના ઉદાહરણ રૂપ ગીર સોમનાથ મહિલા પોલીસ સ્ટેશનના પી. આઇ. ડો. અનસુયા વરચંદ પ્લાટૂન કમાંડર બનાવવામાં આવ્યા હતા. તેમજ પરેડમાં લોક રક્ષક દળ, મહિલા પોલીસ, હોમગાર્ડ, સ્કાઉટ અને એનએસએસની ટુકડીઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો.
રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે જ મોડાસાની સાથે સમગ્ર ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયો છે. ધ્વજવંદન બાદ પોલીસકર્મીઓ સાહસ અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યુ. ઉપરાંત રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પણ રાજ્યપાલની હાજરીમાં અહીં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ મુખ્યપ્રધાનની સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાની સમર્થ ભૂમી પરથી 76માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીની શરુઆત કરાવી. તેમણે તિરંગો લહેરાવી તેને સલામી આપવાની સાથે ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી.
Published On - 6:37 pm, Mon, 15 August 22