
અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અંટાળીયા ગામ નજીક સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મેમણનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, સોહિલ સહિત કેટલાક યુવકો સિંહ-સિંહણના મેટિંગ દરમિયાન તેમને નજીકથી જોવા માટે જંગલ વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન સિંહ અચાનક આક્રમક બનતા યુવકો પર હુમલો કર્યો.
હુમલા દરમિયાન સિંહે સોહિલ મેમણને પકડીને દૂર સુધી ઢસડી લઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આક્રમક બનેલા સિંહોએ લાંબા સમય સુધી મૃતદેહ છોડ્યો ન હતો, જેના કારણે રેસ્ક્યૂ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વનવિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ પોતાના કબજામાં લીધો.
ઘટના બાદ સિંહ દર્શન કરવા ગયેલા અન્ય યુવકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વનવિભાગ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહ્યું છે કે યુવકો પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા અને ગેરકાયદે સિંહદર્શન પાછળ કોઈ સ્થાનિક નેટવર્ક કાર્યરત હતું કે નહીં.
આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે સિંહદર્શનના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે વનવિભાગની દેખરેખ હોવા છતાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે રીતે સિંહદર્શન કરાવવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓના કારણે માનવજીવન જોખમમાં મુકાઈ રહ્યું છે. ઘટનાને પગલે વનવિભાગની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, લીલીયા પંથકમાં ગેરકાયદે સિંહદર્શન પર ફરી ઉઠ્યા સવાલ | TV9Gujarati#Amreli #Liliya #LionAttack #GirLion #GujaratNews #TV9Gujarati pic.twitter.com/XIjHuT1CQq
— Tv9 Gujarati (@tv9gujarati) July 8, 2026
વનવિભાગે લોકોને જંગલ વિસ્તાર અથવા સિંહોના રહેઠાણ નજીક ગેરકાયદે પ્રવેશ ન કરવા અને વન્યજીવોને નજીકથી જોવા માટે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અપીલ કરી છે. સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
અમરનાથ હિમશિવલિંગ માત્ર 5 દિવસમાં અંતરધ્યાન, ક્લાઇમેટ ચેન્જ યાત્રાળુઓ માટે ચિંતાનું કારણ