અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી સાથે ગેરરીતિ કરાઈ હોવાનો પરેશ ધાનાણીનો આક્ષેપ, પટ્ટા મારનારના પટ્ટા ઉતારી ન્યાય આપવાની કરી માગ – Video

અમરેલી લેટરકાંડમાં હવે ભૂતપૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પણ મેદાનમાં આવ્યા છે.રવિવારે પાયલ ગોટી સાથે મુલાકાત કર્યા બાદ પરેશ ધાનાણીએ જેલમાં પાયલ સાથે ગેરરીતિ કરાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ધાનાણીએ આવુ કરનારા પોલીસકર્મી સામે 24 કલાકમાં કાર્યવાહી કરવાનુ સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે.

| Edited By: | Updated on: Jan 07, 2025 | 3:38 PM

 

અમરેલી લેટરકાંડમાં હવે નવો જ વિવાદ સામે આવ્યો છે. પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે જેલમાં પાટીદાર દીકરી પાયલ ગોટી સાથે પોલીસકર્મી દ્વારા ગેરરીતિ કરવામાં આવી હતી. આવુ કરનાર પોલીસકર્મી સામે તાત્કાલિક 24 કલાકની અંદર કાર્યવાહી કરવાની ધાનાણીએ માગ કરી છે. ધાનાણીએ જવાબદાર પોલીસકર્મચારીઓ સામે 24 કલાકમાં પગલા ભરવાનું સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે.

16 કલાક સુધી પાયલને ગોંધી રાખી

ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે દીકરી પાયલને 16 કલાક સુધી ભૂખી તરસી ગોંધી રાખવામાં આવી, તેને ઢોર મારવામાં આવ્યો. તેમણે જણાવ્યુ કે કોઈપણ વાંકગુના વિના કે આરોપ સિદ્ધ થયા વિના પાયલને પટ્ટાથી માર મારવામાં આવ્યો. ત્યારે આ દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી ન્યાય આપવાની તેમણે માગ કરી છે. જો 24 કલાકમાં કાર્યવાહી ન થાય તો ઉપવાસ પર ઉતરવાની ધાનાણીએ ચીમકી ઉચ્ચારી છે.

પાયલને રિમાન્ડ પર લઈ પટ્ટા મારવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીના જેલમાંથી છૂટ્યા બાદ રવિવારના રોજ પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે તેમના નિવાસસ્થાને જઈ તેની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પાયલે જેલવાસના 5 દિવસ દરમિયાન તેની સાથે શું-શું થયુ તે સમગ્ર ઘટનાક્રમ આ બંને નેતાઓને જણાવ્યો હતો અને કાયદાની રૂએ જે કંઈ થતુ હોય તે તેને ટોર્ચર કરનાર પોલીસકર્મીઓ સામે કરવામાં આવે તેવી માગ કરી હતી. આ મુલાકાત દરમિયાન જેલમાં તેને LCBના મહિલા પોલીસકર્મી દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યુ હતુ. આ ઘટના બાદ હવે પરેશ ધાનાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો 24 કલાકમાં પગલાં નહીં લેવાય તો ગુરુવારે સવારે 10 વાગ્યાથી તે અમરેલી જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ પર ઉતરશે. તેમણે રાજકીય અને સામાજિક આગેવાનોને પણ આ લડાઈમાં જોડાવા આહ્વાન કર્યું છે.

કૌશિક વેકરીયાને જાહેરમાં ચર્ચા કરવા પડકાર

તો પત્રમાં લખેલા મુદ્દાઓ બાબતે પણ પરેશ ધાનાણીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને આડે હાથ લીધાં છે અને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. પરેશ ધાનાણીનો આક્ષેપ છે કે પત્ર સાચો છે અને સહી પણ સાચી છે. જો વેકરિયા દૂધે ધોયેલા હોય તો હું રાજકમલ ચોકમાં તેમને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંકું છું. હાલ લેટરકાંડ, પાયલની ધરપકડ અને જેલમુક્તિ બાદ ફરી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવાદ વકરવાની શક્યતા છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:37 pm, Tue, 7 January 25