
અમદાવાદમાં જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્રના પેપર લીકના કથિત આરોપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આ મામલે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ રાજ્ય સરકાર અને શિક્ષણ તંત્ર સામે ઉગ્ર નારેબાજી કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
યુથ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, BAMSની પરીક્ષા પહેલાં જ ‘આઈએમપી’ (IMP – Important) પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. આ પ્રશ્નો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા બાદ પરીક્ષા લેવાઈ હતી, જેના કારણે પરીક્ષાની વિશ્વસનીયતા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
યુથ કોંગ્રેસના કાર્યકરોએ સ્પષ્ટ માંગ કરી હતી કે આ ગંભીર બેદરકારી બદલ રાજ્યના શિક્ષણ પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. સંગઠનનું કહેવું છે કે જો શિક્ષણ પ્રધાન પોતાના ગૃહ જિલ્લામાં પણ પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ અટકાવી શકતા ન હોય, તો તેમને આ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.
પ્રદર્શન દરમિયાન પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે યુથ કોંગ્રેસ અને NSUIના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ કાર્યવાહી છતાં કાર્યકરોનો રોષ શાંત પડ્યો ન હતો અને તેમણે પોતાનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
યુથ કોંગ્રેસના એક કાર્યકરે જણાવ્યું હતું કે, “અમારી સ્પષ્ટ માંગ છે કે જે જિલ્લામાંથી શિક્ષણ મંત્રી આવે છે, એ જ જિલ્લામાં તેઓ પોતે પેપર સલામત ના રાખી શકતા હોય, તો ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યને શું સલામત રાખી શકશે? આ લિકેજ સરકારની અંદર મંત્રીઓ પણ લિકેજ થઈ ગયા છે. જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા દસ વર્ષમાં ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં ૩૪ જેટલા પેપર લીક થયા છે, જેમાં GPSC, વનરક્ષક અને તલાટી જેવી મહત્વની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં પેપર લીક થવા છતાં એક પણ “પેપર માફિયા” ને સજા થઈ નથી.
આ કિસ્સામાં, 20 તારીખે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયાના સાત દિવસ વીતી ગયા હોવા છતાં, હજુ સુધી FIR (પ્રથમ માહિતી અહેવાલ) દાખલ કરવામાં આવી નથી. યુથ કોંગ્રેસે સરકારના 2023 અને 2024 માં લાવવામાં આવેલા કડક કાયદાની નિષ્ફળતા પર પણ સવાલ ઉઠાવ્યા છે, જે મુજબ પેપર લીક કરનારાઓને સજા થવી જોઈએ.
તાજેતરમાં દેશભરમાં NEET પેપર લીકને લઈને દેખાવો થયા હતા, તેવા સમયે ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થવાની ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તપાસ ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ વિરોધ પક્ષો દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. યુથ કોંગ્રેસ અને NSUI એ આ પેપર લીક કૌભાંડને લઈને આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે, જ્યાં સુધી શિક્ષણ પ્રધાનનું રાજીનામું ન આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય.
અમદાવાદ NIA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની જેલ