ગુજરાત હાઇકોર્ટ(Gujarat Highcourt) પરિસરમાં જન્માષ્ટમી(Janmashtmi 2022) પર્વે ઔષધીય વનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઔષધીય વન લોકાર્પણ અને ન્યાયિક સેવાઓ(Legal Services) સંલગ્ન વિવિધ પ્રોજેક્ટસના લોન્ચિંગ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સહભાગી થયા હતા.આ સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત હાઇકોર્ટના ચાર પ્રકલ્પો થકી જનકલ્યાણની યાત્રા અવિરત આગળ ધપાવવા બદલ સર્વેને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ન્યાયાધીશ અને ન્યાયાલય ન્યાય પ્રક્રિયા પૂરતું સીમિત છે, તેવી જનમાનસની માન્યતાથી ઉપર ઊઠીને ન્યાયાલય દ્વારા હાથ ધરાયેલ લોક ઉપયોગી વિવિધ પહેલ સામાન્યજન માટે પ્રેરણારૂપ બની રહેશે. કેદીઓ માટે મનૌવેજ્ઞાનિક અભિગમ સાથે કાઉન્સેલિગનો અભિગમ ન્યાયાધીશોની દરેક નાગરિક પ્રત્યેની સંવેદનશીલતા અને માનવીય સંવેદનાનો પરચો કરાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સ્વસ્થ શરીર શ્રેષ્ઠ જીવનનો આધાર હોવાનું જણાવી રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય શાસ્ત્રોમાં ધર્મ , અર્થ અને કર્મ દ્વારા જ મોક્ષ પ્રાપ્તિનો રસ્તો બતાવવામાં આવ્યો છે. સ્વસ્થ શરીર થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રકૃતિનું જતન અને સંવર્ધન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.આયુર્વેદિક વન આ સંકલ્પના સાકાર કરવા મદદરૂપ બની રહેશે તેવો ભાવ પણ રાજ્યપાલ શ્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમના માધ્યમથી ઉપસ્થિત તમામ લોકોને પાંચ વૃક્ષોને વાવીને તેનું જતન કરીને પ્રકૃતિનું સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો.
માતૃભાષામાં શિક્ષણ અને ન્યાયનું મૂલ્ય અને મહત્ત્વ સમજાવતા હૃદયસ્પર્શી પ્રસંગોની પ્રસ્તુતિ સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ન્યાયિક પ્રક્રિયાને માતૃભાષામાં અમલી બનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
બહુવિધ કાનૂની સેવાઓના પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે આજે શરૂ કરેલી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે કાનૂની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર હવે માત્ર મફત કાનૂની સહાય પૂરતું મર્યાદિત ન રહેતાં તમામ કાનૂની સેવાઓની પ્રવૃત્તિઓને આવરી લઈને મહાન ક્ષિતિજ સુધી વિસ્તર્યું છે, એ અભિનંદનીય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમૃત કાળના સંકલ્પોની વાત કરી હતી, તેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે જનસમાન્ય સુધી ન્યાય પહોંચાડવા માટે આપણે સૌ કર્તવ્યબદ્ધ થવાનો સંકલ્પ લઈશું તો આપણે ‘સૌને ન્યાય’ની સંકલ્પનાને સાકાર કરી શકીશું.
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ભારતીય બંધારણમાં કલમ 21 અંતર્ગત દરેક વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યનો અધિકાર આપવામાં આવ્યો છે. જેલના કેદીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એ માટે આપણે કાળજી લેવાની હોય.
આજે ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સહયોગથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે સેન્ટર ફોર સોશિયો-સાયકોલોજિકલ કેર ઑફ પ્રીઝન ઇન્મેટ્સનો પ્રારંભ થઈ રહ્યો છે, જે સરકારની બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
Published On - 4:49 pm, Fri, 19 August 22