અક્ષયતૃતિયાના (Akshay Tritiya) શુભ મુહૂર્તમાં આજે અમદાવાદ (Ahmedabad) ના જગન્નાથ મંદિરમાં (Jagannath Temple) આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી. રથપૂજાની સાથે જ આગામી રથયાત્રા નિમિત્તેના કાર્યક્રમોની શરુઆત થઇ છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળને લીધે રથયાત્રા કેટલાક નિયમોના પાલન સાથે કરવામાં આવી હતી. જો કે આ વર્ષે રથયાત્રાની દરેક વિધિ ધામધૂમથી પૂર્ણ કરવામાં આવશે.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય રથની પૂજા કરવામાં આવી. આ વિધિને ચંદન પૂજા કહેવામાં આવે છે. આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રથ પૂજન બાદ હવે જળયાત્રા પણ હર્ષોલ્લાસ સાથે આયોજીત કરવામાં આવશે. આ વર્ષે રથયાત્રાના દરેક કાર્યક્રમ વિધીવત રીતે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ભક્તજનોને પણ પ્રભુના દર્શનનો લહાવો મળી શકે તેવું આયોજન કરાયું છે.
બીજી તરફ અમદાવાદમાં યોજાતી જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષે ભગવાનના ત્રણેય રથ બદલવામાં આવશે. તેમજ નવા રથનું નિર્માણ કાર્ય આવતા વર્ષે શરૂ કરાશે. આ વર્ષે રથ બનાવવા માટેના લાકડાં લાવી દેવામાં આવ્યા છે. ત્યારે નવા રથ સરળતાથી દર્શન કરી શકાય તે પ્રકારના બનાવાશે. જગન્નાથ પુરીના અનુભવી કારીગરોની પણ પ્રભુના રથના નિર્માણ કાર્યમાં મદદ લેવાશે.
Published On - 12:20 pm, Tue, 3 May 22