અમદાવાદ(Ahmedabad) શહેરમાં 1 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને(Rathyatra 2022)લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ બે વર્ષ બાદ નીકળી રહેલી રથયાત્રાના પગલે તેની સુરક્ષા વ્યવસ્થા(Security)સઘન બનાવવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશ્નર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેમજ શહેર પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે રથયાત્રામાં પોલીસ ડ્રોન સાથે પ્રથમ વખત હેલિકોપ્ટરથી નજર રાખશે. રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તો જોડાવાના હોવાથી પોલીસે સુરક્ષાને લઈને વિશેષ પ્લાન બનાવ્યો છે.શહેર પોલીસ કમિશ્નરે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં પ્રથમ વખત પોલીસ હેલિકોપ્ટરથી બાજ નજર રાખશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ હેલિકોપ્ટરનો બંદોબસ્તમાં ઉપયોગ કરશે. જેમાં રથયાત્રા સમયે હેલિકોપ્ટર મારફતે ઉચ્ચ પોલીસ અધિકારી નજર રાખશે. જેની અંદર 6 સીટર હેલિકોપ્ટર મારફતે નજર રખાશે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે આ વખતે રથયાત્રામાં 25 હજાર કરતા વધુ પોલીસ જવાન અને અધિકારી રહેશે. તેમજ માનવ બળ સાથે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાશે. જેમાં 4 મોટા અને અન્ય નાના ડ્રોન અને બોડી ઓન કેમેરાથી પણ નજર રખાશે. તો ફેસ ડિટેક્શન કેમેરાનો ઉપયોગ પણ કરાશે જેથી ગુનેગારને ઓળખી પકડી શકાય. તેમજ બંદોબસ્ત વિવિધ ઉચ્ચ એજન્સીઓનો પણ સમાવેશ કરાયો છે. જેથી કોઈ ચૂક ન રહી જાય. એટલું જ નહીં પણ બે વર્ષ બાદ ભક્તો રથયાત્રામાં જોડાવાના હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોલ્લા મિટિંગ તેમજ શાંતિ સમિતિ સાથે પોલીસ મિટિંગ કરશે. તેમજ મહિલાઓ સાથે પ્રથમ વખત મહિલા અધિકારી સાથે ખાસ મિટિંગનું આયોજન કરાયુ છે. જેથી રથયાત્રા સમયે શાંતિનો માહોલ બની રહે.
જય રણછોડ માખણ ચોરના નાદ શહેરમાં ગુંજવાને બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે રથયાત્રામાં દર વર્ષે પોલીસનો વિશેષ બંદોબસ્ત રહેતો હોય છે. જોકે છેલ્લા થોડા મહિનાથી રાજ્યમાં ચાલી રહેલા સામાન્ય તંગ વાતાવરણને લઈને તેમજ કેટલીક ઘટનાઓને લઈને આ વખતની રથયાત્રામાં કોઈ ઘટના ન બને અને જો બને તો તેને પહોંચી વળવા માટે પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ વધારી રહી છે. જેમાં રથયાત્રામાં પોલીસ માનવ બળ સાથે આકાશી પહેરો પણ વધાર્યો છે.
2019માં રથયાત્રા નીકળ્યા બાદ કોરોના આવ્યો. જેના બાદ 2020માં રથયાત્રા કોરોનાને કારણે નીકળી નહિ અને 2021 માં કોરોનાને કારણે ભક્તો વગર અને નિશ્ચિત સંખ્યા સાથે રથયાત્રા કાઢવામાં આવી. જેથી દરેકની ઈચ્છા હતી કે આ વર્ષે ભક્તો સાથે રથયાત્રા નીકળે. જેના સંકેત પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે રથયાત્રાના નિરીક્ષણ દરમિયાન આપી દીધા. જેમાં તેઓએ જણાવ્યું કે ભક્તો જોડાવાના છે જેને ધ્યાને રાખીને આયોજન કરાયુ છે. જે નિરીક્ષણમાં પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. જે તમામે જગન્નાથ મંદિર દર્શન કરી સરસપુર મંદિર દર્શન કરી તંબુ ચોકી સુધી નિરીક્ષણ કર્યું. જે મુલાકાત દરમ્યાન તમામ નિરીક્ષણ કરી ગૃહ મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીને સૂચન પણ કર્યા હતા. તેમજ હાલમાં નૂપુર શર્મા નિવેદન વિવાદ તેમજ અન્ય કોઈ ઘટનાને લઈને રથયાત્રામાં પડઘા ન પડે અને કોઈ બનાવ ન બને તેના પર ખાસ ધ્યાન રાખવા ગૃહ મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીને સૂચન કર્યા.
એટલું જ નહીં પણ રથયાત્રા પહેલા ગુનેગારોને પકડવા પોલીસ વિભાગે રથયાત્રા પહેલા રાત્રે શહેર લોક કરી મોકડ્રીલ યોજી હતી. ગત રાતે પ્રથમ વખત પોલીસે શહેર લોક કરી મોકડ્રીલ યોજી હતી. આ મોકડ્રીલમાં પોલીસ જવાઓને ગુનેગાર બતાવી કાર સાથે ફરાર હોવાનું નાટક રચી પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરીની મોકડ્રીલ રથયાત્રા દરમિયાન કોઈ ઘટના બને તો તેમાં પોલીસ કામગીરીને વધુ સારી બનાવવાના પ્રયાસના ભાગ રૂપે યોજાઈ હતી.
Published On - 6:23 pm, Thu, 23 June 22