પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગુજરાતના જાણીતા લોકગાયિકા કિંજલ દવેએ પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે નગરના વિવિધ પ્રદર્શન તેમજ કલાકૃતિઓ નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે નગરમાં આવીને અલૌલિક શાંતિનો અનુભવ તો થાય છે સાથે સાથે આ નગરની રચના જોઈને અહીના હરિભકતોનો સમર્પણનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. આ નગરની રચના અને સંચાલન એવી રીતે થાય છે જાણે કે અહીં કોઈ ટોપ મેનેજમેન્ટ કંપની દ્વારા સંચાલન કરવામાં આવતું હોય જોકે, અહીં સમગ્ર સંચાલનનું માર્ગદર્શન અનુભવી સંતો અને હરિભક્તો દ્વારા કરવામાં આવે છે. તેમજ શતાબ્દી મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણ અને પૂજય પ્રમુખ સ્વામી મહારાજના સિંદ્ધાતો તેમજ આદર્શોનું દર્શન પણ થાય છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ગુરૂવારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબસના ચેરમેન હર્ષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા. વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે.
આદિવાસી ગૌરવ દિનની ઉજવણીમાં પધારેલા નેશનલ કમિશન ઓફ શિડયુલ્ડ ટ્રાઇબસના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું હતું કે અમારા માટે સૌભાગ્યની વાત છે કે અમારા વનવાસી સમાજ માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, કારણકે બ્રિટિશ શાસનના સમય થી અમારા સમાજની સતત ઉપેક્ષા કરવામાં આવી છે .ભગવાન શ્રીરામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા. વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે કારણકે પ્રમુખસ્વામી મહારાજે અમારા સમાજને ખૂબ જ પ્રેમ અને વાત્સલ્ય આપ્યું હતું અને જો આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા પથ પર ચાલીશું તો આપણો દેશ વિકસિત દેશ બનશે કારણકે 12 કરોડ વનવાસીઓ આ દેશના નાગરિક છે અને તેમનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે.