
Ahmedabad: જૂન મહિનામાં GSRTCના એક સાથે 502 કર્મચારી રિટાયર્ડ થયા છે. જે કર્મચારીઓને પીએફ (PF) અને પેન્શન માટે ધક્કા ખાવ ન પડે અને પીએફ તેમજ પેન્શન મળી રહે તે માટે નરોડા એસ ટી ડેપો ખાતે પ્રયાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. EPFO અને બેન્કના સહયોગ સાથે આ પ્રયાસ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રયાસ કાર્યક્રમ હેઠળ રિટાયર્ડ કર્મચારીને પેન્શન લેટર આપવામાં આવ્યા હતા. તેમજ PF યોગ્ય જગ્યાએ નિવેશ કરવા અંગે માહિતી પણ આપવામાં આવી હતી. એસ ટી નિગમમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો છે. ઉલ્લેખનીય છે કે રિટાયર્ડ 502 કર્મચારીમાં સૌથી વધુ ડ્રાઈવર અને કન્ડક્ટર છે. જેઓની જગ્યા ખાલી પડતા હવે તેમની જગ્યા માટે જલ્દીથી ભરતી પ્રક્રિયા કરવા પણ એસટી નિગમે ખાતરી આપી છે.
એસ ટી ડેપો પર યોજાયેલા કાર્યક્રમમાં હાજર PF કમિશનરે પેંશનરને કોઈ પણ હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સાથે જ કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને હાયર પેન્શનની પણ વિગતો આપવામાં આવી હતી. પેન્શનના યોગ્ય નિવેશ માટે સરકારી બેન્ક સાથે ટાયપ કરી વિવિધ પ્લાન અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત હાયર પેંશનરનો 1 લાખ લોકોએ લાભ લીધો હોવાનું PF કમિશનરે જણાવ્યું હતું. તેમજ પેન્શન મેળવનારે વર્ષે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. તે હવે ઉમંગ એપ્લિકેશન મારફતે ઝડપથી ફોર્મ ભરી પ્રક્રિયા કરી શકે છે. જેનાથી સમય બચશે અને PF ઓફિસના ધક્કા ખાવા નહિં પડે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એડવાન્સ PF ઉપડનારની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે તેમજ PF મેળવવાની પ્રક્રિયા પણ હવે સરળ અને ટેકનોલોજી વાળી બની છે એટલે કે વધુમાં વધુ 20 દિવસ કે ઓછામાં ઓછા 10 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી લોકોના ખાતામાં પેન્શન જમા થઈ જાય તેવી વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો