અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Lord Jagannath Rathyatra) પૂર્વે આજે બમણા ઉત્સાહ સાથે જળયાત્રા (Jalyatra) સંપન્ન થઇ છે. પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ નિમિત્તે આજે જળયાત્રા નીકળી. જેમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદિપસિંહ જાડેજા સહિતના દિગ્ગજો આ યાત્રામાં જોડાયા. જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ (Devotee) ઉમટ્યા હતા. મહામારી બાદ રંગેચંગે જળયાત્રા નીકળતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જમાલપુર મંદિરથી નીકળેલી જળયાત્રામાં 108 કળશ, ધજા-પતાકાની સાથે 18 ગજરાજને જોડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે જેઠ સુદ પૂનમ નિમિત્તે ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળી. સાબરમતી નદીમાં ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ મંદિરમાં ભગવાન જગન્નાથનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો. સવારે મંદિરના મહંત દિલિપ દાસજી, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જળયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જળયાત્રાને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલનગારાના તાલે ઝૂમતાં ઝૂમતાં શ્રદ્ધાળુઓ જાણે ભગવાનના પ્રેમમાં ઓળઘોળ થઈ ગયા હતા.
108 કળશ, ભજનમંડળીઓ, ગજરાજ સહિત અનેક આકર્ષણો સાથે જળયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળીને સાબરમતી નદીના કિનારે પહોંચી હતી. જ્યાં પૂજા-અર્ચના કરવામાં આવી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ, દિલિપદાસજી મહારાજ સાથે પૂજામાં બેઠા હતાં. ત્યારબાદ બોટમાં સવાર થઈને દર વખતની જેમ ગંગાપૂજન કરવામાં આવ્યું અને નદીના મધ્યભાગમાંથી જળ ભરવામાં આવ્યું. જેને લઈ ભગવાન જગન્નાથની જળયાત્રા નિજમંદિરે પરત ફરી હતી. 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો. આ પ્રસંગે જગન્નાથ મંદિર જય રણછોડ માખણચોરના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતુ.
કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતુ. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલા મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ”જળયાત્રા’ નીકળી.