Gujarat riots 2002 : 21 વર્ષ બાદ, નરોડા ગામ હત્યાકાંડ કેસનો આજે આવી શકે છે ચુકાદો

ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયાબેન કોડનાની અને બજરંગ દળના અગ્રણી બાબુ બજરંગી, એ 86 આરોપીઓમાં સામેલ છે, જેમની સામે આ કેસની સુનાવણી ચાલી રહી છે. 86 આરોપીઓમાંથી 18 આરોપીના કેસ ચાલવા દરમિયાન મૃત્યુ થયા હતા.

Gujarat riots 2002 : 21 વર્ષ બાદ, નરોડા ગામ હત્યાકાંડ કેસનો આજે આવી શકે છે ચુકાદો
| Edited By: | Updated on: Apr 20, 2023 | 8:00 AM

2002માં થયેલા રમખાણ દરમિયાન નરોડા ગામ ખાતે લઘુમતિ સમુદાયના અગિયાર લોકો માર્યા ગયા હતા. આ કેસમાં અમદાવાદની વિશેષ અદાલત આજે ગુરુવારે ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયાબેન કોડનાની અને બજરંગ દળના અગ્રણી બાબુ બજરંગી, જયદીપ પટેલ એ 86 આરોપીઓમાં સામેલ છે જેમની સામે આ કેસની સુનાવણી ચાલી રહી છે. 86 આરોપીઓમાંથી 18 આરોપીના મૃત્યુ થયા હતા.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIT)ના કેસોના વિશેષ ન્યાયાધીશ એસ કે બક્ષીની કોર્ટ આજે 20 એપ્રિલે 68 આરોપીઓ સામે ચુકાદો આપી શકે છે. 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં કોમી હિંસામાં 11 લોકો માર્યા ગયા હતા. આ હત્યાકાંડના એક દિવસ પૂર્વે એટલે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના ડબ્બા નંબર એસ-6 ને સળગાવવામાં આવ્યો હતો. જેમાં 58 મુસાફરો, કે જે મોટાભાગે અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો હતા તે સળગી મર્યા હતા. જેના વિરોધમાં ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ.

સ્પેશિયલ પ્રોસિક્યુટર સુરેશ શાહે જણાવ્યું હતું કે, 2010માં શરૂ થયેલી અને લગભગ 13 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી. સપ્ટેમ્બર 2017 માં, ભાજપના વરિષ્ઠ નેતા (હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહે, માયાબેન કોડનાની તરફે બચાવ સાક્ષી તરીકે હાજર થયા હતા. કોડનાનીએ કોર્ટને વિનંતી કરી હતી કે તેણીની અલીબી સાબિત કરવા માટે તેને સમન્સ મોકલવામાં આવે કે તેઓ ગુજરાત વિધાનસભામાં અને બાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતી અને નરોડા ગામ કે જ્યાં આ હત્યાકાંડ થયો હતો ત્યાં તેઓ હતા જ નહીં.

પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં પત્રકાર આશિષ ખેતાન દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનનો વીડિયો તેમજ સંબંધિત સમયગાળા દરમિયાન માયાબેન કોડનાની, બજરંગી અને અન્ય લોકોની કોલ ડિટેલ્સ સામેલ છે. જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે એસએચ વોરા મુખ્ય ન્યાયાધીશ હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂંક પામ્યા હતા. તેમના અનુગામીઓ, જ્યોત્સનાબેન યાજ્ઞિક, કે કે ભટ્ટ અને પી બી દેસાઈ, આ કેસની ટ્રાયલ દરમિયાન જ નિવૃત્ત થયા હતા.

ટ્રાયલ (સાક્ષીઓની જુબાની) લગભગ ચાર વર્ષ પહેલાં પૂર્ણ થઈ હતી. ફરિયાદ પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી અને જ્યારે તત્કાલીન વિશેષ ન્યાયાધીશ પી બી દેસાઈ નિવૃત્ત થયા ત્યારે બચાવ પક્ષ તેની દલીલો કરી રહ્યો હતો. તેથી ન્યાયાધીશ દવે અને બાદમાં ન્યાયાધીશ બક્ષી સમક્ષ દલીલો નવેસરથી શરૂ થઈ હતી.

આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. અને 153 (હુલ્લડો માટે ઉશ્કેરણી) જેવી કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે.

 

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:29 am, Thu, 20 April 23

Follow Us
Loading...
Unable to load recommendations.