કોરોનાના કઠીનકાળમાં ગુજરાત સરકારે વેપારીઓને શ્રેણીબદ્ધ રાહત આપી : ઉર્જામંત્રી સૌરભ પટેલ

|

Jul 13, 2021 | 7:41 AM

અમદાવાદની(Ahmedabad) હયાત હોટલમાં TV-9 ના કોન્ક્લેવમાં (TV9 Conclave) સૌરભ પટેલે ( saurabh patel) હાજરી આપી હતી. નાના વેપારીઓ પણ તેમની ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરે એ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

ઉર્જામંત્રી સૌરભ પટેલે ( saurabh patel) અમદાવાદની(Ahmedabad) હયાત હોટલ ખાતે આયોજીત TV-9 ના કોન્ક્લેવમાં (TV9 Conclave) જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોનાના કઠીનકાળમાં નાના વેપારીઓને સંખ્યાબંધ રાહતો આપી ઉદ્યોગ-ધંધાને ટકાવી રાખવા-પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કર્યા છે.

ઉર્જામંત્રીએ કહ્યું કે, કોરોનાની બે લહેરમાં ઉદ્યોગ-ધંધાને વ્યાપક અસર થઈ હતી અને આ અસરોને ઓછી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નાના વેપારીઓને, ઉદ્યોગ સાહસિકોને વીજળીબિલમાં રાહત અને વેરાઓમાં છુટછાટ આપવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, નાના વેપારીઓ તેમની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઓનલાઈન વેચાણ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોમાં હકારાત્મક પરિવર્તન જોવા મળશે તેમ પણ સૌરભ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના બાદ જગત ઘણું બદલાયું છે અને આરોગ્યના ક્ષેત્રમાં ભવિષ્યમાં ક્રાંતિ સર્જાશે. ઉર્જામંત્રીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આગામી ચોમાસુ સારુ જતા વિકાસદરમાં વૃદ્ધિ થશે. ભારત અને ગુજરાતની પ્રોત્સાહક નીતિઓના પગલે કંપનીઓ ચીનના બદલે અહીં રોકાણ કરવા માટે આકર્ષિત થઈ રહી છે.

આ સેશનમાં ઉર્જામંત્રી ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ તેમ જ જી.સી.સી.આઈના અધ્યક્ષ શ્રી નટુભાઈ પટેલ પણ જોડાયા હતા.

Published On - 6:44 am, Tue, 13 July 21

Next Video