ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના 50 સ્ટાર પ્રચારકો પ્રચાર કરવાના છે. જ્યારે કોંગ્રેસે પણ 40 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં રાહુલ ગાંધીએ સોમવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ 26 નવેમ્બરે અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે અને બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. જ્યારે મલ્લિકાર્જુન ખડગે 28 નવેમ્બરે ગાંધીનગર નજીક જાહેર સભાને સંબોધશે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ 27 નવેમ્બરે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ‘ભારત જોડો યાત્રા’માં હાજરી આપશે અને એક સભાને સંબોધશે. બીજી તરફ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ખડગે સોમવારે પાર્ટી મુખ્યાલયમાં કાર્યકર્તાઓને મળ્યા હતા.પાર્ટીના કાર્યકર્તાઓ સવારથી જ ખડગેને મળવા માટે કતારમાં ઉભા હતા. તેમણે ગત 26 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યું હતું.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.