આજે અષાઢ સુદ પૂર્ણિમા (Ashadhi purnima) એટલે કે ગુરુ પૂર્ણિમાનો (guru purnima) દિવસ છે. આ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ વંદનાનો શ્રેષ્ઠ અવસર. આ દિવસે ગુરુની પૂજાનું (Guru puja) વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ગુરુને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે માત્ર ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. ત્યારે આજે અમદાવાદમાં (Ahmedabad) પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઇ રહી છે. ગુરુ પૂર્ણિમાં નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ. ભક્તોએ ભગવાન જગન્નાથ સાથે મહંત દિલીપદાસજી મહારાજના પણ આશીર્વાદ લીધા.
અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરૂ પૂર્ણિમાનો દિવસે લોકો ગુરુનું સન્માન કરીને ઉજવતા હોય છે. ત્યારે આજના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. ત્યાર બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના પણ ભક્તોએ આશીર્વાદ લીધા હતા. આજના ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ગુરૂને ભેટ આપવાની પણ એક પરંપરા હોય છે. ત્યારે જગન્નાથ મંદિરમાં દિલીપદાસજી મહારાજના એક શિષ્ય પ્રતાપ ઠાકોરે ગુરૂને સોનાની માળા અને પેન્ડલની અનોખી ભેટ આપી હતી.
મહત્વનું છે કે આ દિવસને મહર્ષિ વેદ વ્યાસજીના (Maharshi ved vyas) જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસ સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. તેમને જ તમામ 18 પુરાણોના રચયિતા માનવામાં આવે છે. વેદોના વિભાજનનો શ્રેય પણ મહર્ષિ વેદ વ્યાસજીને જ આપવામાં આવે છે. આ સાથે જ એવી પણ માન્યતા છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી આપના સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકાય છે. આપના જીવનમાં આવતી અડચણોને દૂર કરી શકાય છે.