
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે વર્ષ 2006માં પોલીસ ચોપડે મૃત્યુ પામ્યો છે. એટલે કે ઝડપાયેલ યુવકે વીમો પકવવા માટે પોતાનુ જ મોત કારમાં સળગી જવાથી થયાનુ સાબીત કર્યુ હતુ. 17 વર્ષ અગાઉની આ ઘટનામાં પોતાના જ મોતને સાબિત કરીને લાશને પરિવારજનો દ્વારા સ્વિકાર કરાવી લીધી હતી.
ત્યાર બાદ આરોપી અમદાવાદમાં રહીને નવા નામ અને ઠામ સાથે જીવન જીવવા લાગ્યો હતો. પરંતુ તેની આ ચાલ 17 વર્ષે ખુલી જવા પામી છે અને હવે જેલમાં જવાનો વખત પણ આવી ચૂક્યો છે. આરોપીએ નવા નામ અને સરનામા માટે બોગસ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરીદીધા હતા. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તે તમામ ભેદ ઉકેલીને હવે આરોપીને જેલને હવાલે કરી દીધો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા આરોપીનું નામ અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરી છે. જોકે વર્ષ 2006 થી તે અમદાવાદમાં રાજકુમાર વિજયકુમાર ચૌધરીના નામે મનમોહનનગર નિકોલ ખાતે વસવાટ કરે છે.ઝડપાયેલા આરોપી પાસેથી રાજકુમાર ના નામના તમામ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. જેની તપાસ કરતા તે તમામ દસ્તાવેજ ખોટા બનાવવામાં આવ્યા છે.
જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી તપાસ કરતા 17 વર્ષ પહેલા આગ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. જોકે આગ્રા પોલીસ તે બનાવને માત્ર એક અકસ્માત સમજી તપાસ કરતી હતી. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તે હત્યાના ખતરનાક ગુનાનો ભેદ ઉકેલ્યો અને 80 લાખનો વીમો પકવવા માટે એક ભિક્ષુકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો કર્યો અને આરોપીની ધરપકડ કરી.
ઝડપાયેલ આરોપી અનિલસિંઘ ઉર્ફે રાજકુમાર ની બોગસ દસ્તાવેજો ના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી. જેમાં અનિલસિંઘ તેના પિતા વિજયપાલસિંઘ તેનો ભાઈ અને તેના મિત્રએ મળી વર્ષ 2004 માં હત્યાનું કાવતરું રચ્યું હતું. જે કાવતરાના ભાગરૂપે 2004 માં અનિલ ના નામે lic ની જીવન મિત્ર નામની 20 લાખની પોલિસી લેવામાં આવી હતી, જે પોલીસીમાં જો પોલિસી ધારકનું અકસ્માતે મૃત્યુ થાય તો ચાર ઘણા એટલે કે 80 લાખ રૂપિયા મળવાના હતા.
જેથી વર્ષ 2006ના જાન્યુઆરી મહિનામાં અનિલના પિતા વિજય પાલે અનિલના નામે એક સેન્ટ્રો ગાડી લીધી અને તેનો પણ વીમો ઉતરાવ્યો હતો. બાદમાં 31 જુલાઈ 2006ના રોજ અનિલે ઘનકોર થી ગાઝિયાબાદ જતી ટ્રેનમાં ભિક્ષુકવૃત્તિ કરતા યુવકને જમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો. જેને બેભાન કરી પોતાની ગાડી નો અકસ્માત સર્જી તેને આગ લગાવી દીધી હતી.
જોકે તે ગાડીમાં મૃતક અનિલ નહીં પરંતુ ભિક્ષુક હતો, તે વાત જાણતા હોવા છતાં અનિલના પરિવારે કે મૃતદેહ સ્વીકાર્યો. તેના અંતિમ સંસ્કાર કર્યા અને પરિવાર તથા સમાજ માટે અનિલને મૃત જાહેર કરી તેને 80 લાખ રૂપિયા ની પોલીસી પણ પકવી લીધી હતી.
બનાવટી દસ્તાવેજોની અને આ દસ્તાવેજો ક્યાં બનાવ્યા કોની પાસે બનાવ્યા તેની તપાસ હાથ ધરાઈ છે. સાથે જ 31 જુલાઈ 2006 માં થયેલી હત્યા ની માહિતી આગ્રા પોલીસને આપતા પોલીસે અકસ્માતના ગુનામાં હત્યાની કલમો ઉમેરી અનિલસિંઘ તેના પિતા વિજયપાલસિંઘ સહિત ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી અનિલ ઉર્ફે રાજકુમાર એટલો ચાલાક હતો કે, હત્યાને અંજામ આપી ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી ગયો અને અને છેલ્લા 17 વર્ષથી તેની પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી હતી. સાથે જ જો તેના પરિવારના કોઈ વ્યક્તિને મળવું હોય તો દિલ્હી અથવા સુરત મળવા આવી જતો હતો.
Published On - 3:34 pm, Wed, 8 November 23