
અમદાવાદમાં ગણેશોત્સવને લઈને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગે ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો જાહેર કર્યા છે. પંડાલ નાનો હોય કે મોટો, સુરક્ષાના નિયમોમાં કોઈ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. 500 ચો.મી.થી નાના પંડાલ માટે ફાયર NOCની જરૂર નહીં પડે, પરંતુ ફાયર સેફ્ટીના જરૂરી સાધનો રાખવા ફરજિયાત રહેશે.
નિયમો મુજબ પંડાલમાં ફટાકડા, સ્ટોલ અને રસોઈ પર પ્રતિબંધ રહેશે. પંડાલમાં બે ઈમરજન્સી એક્ઝિટ રાખવા પડશે. સાથે જ શાળા અને હોસ્પિટલથી જરૂરી અંતર જાળવવું પડશે. પંડાલના સ્થળે ફાયર સેફ્ટીની જાણકારી ધરાવતા બે વ્યક્તિઓ હાજર રાખવા પણ ફરજિયાત કરાયા છે. ઈલેક્ટ્રિક વાયરિંગની ચકાસણી કરાવ્યા બાદ જ ઉજવણી કરી શકાશે અને આયોજકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે.
પંડાલના કદ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનોની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. 25 ચો.મી. સુધીના પંડાલમાં 2 ફાયર એક્સ્ટિંગ્વિશર, પાણીનું 1 બેરલ અથવા ડોલ અને 2 ફાયર બકેટ રાખવા પડશે. 25થી 50 ચો.મી.માં 4 એક્સ્ટિંગ્વિશર, 1 પાણીની ડોલ અને 2 ફાયર બકેટ જરૂરી રહેશે. 50થી 100 ચો.મી.માં 8 એક્સ્ટિંગ્વિશર, 2 ડોલ અને 4 ફાયર બકેટ, જ્યારે 100થી 200 ચો.મી.માં 16 એક્સ્ટિંગ્વિશર, 4 ડોલ અને 8 ફાયર બકેટ રાખવાના રહેશે.
આ ઉપરાંત 200થી 300 ચો.મી.ના પંડાલમાં 24 એક્સ્ટિંગ્વિશર, 6 પાણીના બેરલ અને 12 ફાયર બકેટ, જ્યારે 300થી 400 ચો.મી.માં 32 એક્સ્ટિંગ્વિશર, 8 ડોલ અને 16 ફાયર બકેટ રાખવાના રહેશે. 500 ચો.મી. સુધીના પંડાલ માટે 40 ફાયર એક્સ્ટિંગ્વિશર, 10 ડોલ અને 20 ફાયર બકેટ ફરજિયાત કરાયા છે. ભીડને લઈને પણ ખાસ નિયમ બનાવાયો છે. પંડાલમાં વ્યક્તિ દીઠ 1 ચો.મી. જગ્યા મુજબ જ પ્રવેશ આપી શકાશે.
ફાયર સેફ્ટી ઉપરાંત પંડાલમાં ભીડ નિયંત્રણ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આયોજકોએ પંડાલની ક્ષમતા મુજબ જ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો રહેશે અને વ્યક્તિ દીઠ 1 ચો.મી. જગ્યા જાળવવી પડશે. પંડાલમાં ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો લોકો સરળતાથી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા રાખવાની રહેશે. આ નિયમોનો મુખ્ય હેતુ ગણેશોત્સવ દરમિયાન આગ કે અન્ય કોઈ દુર્ઘટના સમયે જાનમાલનું નુકસાન અટકાવવાનો છે.