
Ahmedabad : અમદાવાદના નિકોલની ચાણક્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થી પર નિર્મમ રીતે લાફા માર્યાનો આરોપ લાગ્યો હતો જે ઘટનાને લઈને મોટી અપડેટ સામે આવી છે. શાળાના મેદાનમાં વિદ્યાર્થીને કોઈ કારણસર ઉભો કરીને લાફો મારતા વિદ્યાર્થીના કાનનો પડદો તૂટી ગયો હતો, જે બાદ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે બાદ તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યુ હતુ. જોકે હવે આ ઘટનાના CCTV સામે આવ્યા છે, તેમજ શિક્ષકની આ બેદરકારીના કારણે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ નિકોલની ચાણક્ય સ્કૂલમાં ભણતા ધોરણ 10ના વિદ્યાર્થીને મેદાન પર શિક્ષક લક્ષ્મણ પરાતે લાફો ઝીંકી દીધો હતો, જે ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો સામે આવ્યો છે. જેમા શિક્ષક વિદ્યાર્થીને મારતા દેખાય છે અને તે બાદ વિદ્યાર્થી નીચે બેસીને તેનો કાન પકડી લે છે. શિક્ષકની આ કરતુતથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યા છે.
વિદ્યાર્થીની હાલતને જોતા તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે બાદ ડોક્ટરોએ પણ પડદો તૂટ્યાની પુષ્ટિ કરી છે અને વિદ્યાર્થીનું તાત્કાલિક ઓપરેશન કરાવવાની નોબત આવી ગઈ. આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
શાળા સંચાલનમાં અને ટ્રસ્ટી સાથેની મીટિંગ બાદ વિદ્યાર્થીના વાલીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમજ ઘટનાની ગંભીરતાને જોતા વિદ્યાર્થીને લાફો મારનાર શિક્ષક લક્ષ્મણ પરાતેને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ DEOએ તે અંગે રિપોર્ટ રજૂ કરવા પણ કારણદર્શક નોટિસ ફટકારી છે.
શાળા એ બાળકોને શિક્ષણ અને જીવનનું માર્ગદર્શન આપવાનું સ્થળ છે. આવી જગ્યાએ શિક્ષકોની અતિશય સખ્તાઈ બાળકોમાં ડર અને અસુરક્ષાની ભાવના પેદા કરી શકે છે. તેથી શાળાઓ તથા શિક્ષકોએ શિસ્ત જાળવવાની સાથે વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
Published On - 1:57 pm, Tue, 30 June 26