
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા ભક્તિપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. વહેલી સવારથી શરૂ થયેલી યાત્રા મોડી સાંજે ત્રણેય રથ નિજ મંદિર પરિસરમાં પરત ફરવાની સાથે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અમદાવાદની ગલીઓમાં ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છવાઈ ગયું હતું.
રથયાત્રાનો પ્રારંભ પરંપરાગત રીતે વહેલી સવારે માંગળા આરતીથી થયો હતો. ત્યારબાદ ભગવાનને ખીચડો ધરાવવામાં આવ્યો અને પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાન જગન્નાથનો રથ સૌપ્રથમ મંદિર પરિસરમાં પરત ફર્યો હતો, ત્યારબાદ બહેન સુભદ્રાજીનો રથ લાવવામાં આવ્યો અને ટૂંક સમયમાં જ ભાઈ બલરામજીનો રથ પણ મંદિરમાં પ્રવેશ્યો હતો. વાજતે ગાજતે અને અદભૂત શ્રદ્ધા સાથે આ યાત્રા કોઈપણ વિઘ્ન કે મુશ્કેલી વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
આ વખેતની રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ હતી. સમગ્ર રૂટ પર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાથીઓ પર પણ મોનિટરિંગ સિસ્ટમ રાખવામાં આવી હતી, જેથી તેમની નજીક કોઈ વ્યક્તિ ન જાય અથવા તેમને કંઈ ખવડાવે નહીં તેની કાળજી લેવાઈ હતી. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે એક કે બે નહીં, પરંતુ અનેક ડ્રોન કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ આયોજનબદ્ધ સુરક્ષાને કારણે યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઈ શકી.
રથયાત્રામાં ખલાસીઓનું યોગદાન અનિવાર્ય અને પરંપરાગત રહ્યું છે. વર્ષોથી તેઓ જ રથ ખેંચવાની કામગીરી કરે છે. યાત્રા પૂર્ણ થયા બાદ ખલાસી બંધુઓ ભગવાનના દર્શન કરી રહ્યા હતા અને આશીર્વાદ લઈ રહ્યા હતા. રથ પર જોવા મળતી ભીડ માત્ર ખલાસીઓની હતી, જેઓ કોઈ ભૂલ થઈ હોય તો તેની માફી માંગતા અને આવતા વર્ષે પણ અષાઢી બીજે રથ ખેંચવાનો લ્હાવો મળે તેવી આજીજી કરતા જોવા મળ્યા હતા. સવારના 4 વાગ્યાથી શરૂ થયેલા ઘટનાક્રમમાં, પહિંદ વિધિ બાદ સવારે 7 વાગ્યાથી ખલાસીઓએ રથ ખેંચવાની કામગીરી શરૂ કરી હતી.
149th Jagannath Rath Yatra Concludes Peacefully in Ahmedabad Amid Massive Devotee Turnout | Gujarat | TV9Gujarati#JagannathRathYatra #Ahmedabad #JayJagannath #BreakingNews #RathYatra2026 #Gujarat #TV9Gujarati pic.twitter.com/o9uF7e6fwM
— Tv9 Gujarati (@tv9gujarati) July 16, 2026
મહત્વની બાબત એ છે કે, આજે રાતવાસો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને રથમાં જ કરવો પડશે. પરંપરા મુજબ, જ્યારે લક્ષ્મીજી અને રુક્ષ્મણીજી દ્વાર ખોલતા નથી, ત્યારે ભગવાન પોતાની પત્નીઓને ભૂલીને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા હોવાથી તેમની નારાજગીને કારણે આવું થાય છે. ભગવાનની મૂર્તિઓ આજે ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે નહીં, પરંતુ આવતીકાલે મંદિરમાં પ્રવેશ કરાશે. મંદિરમાં પ્રવેશ પહેલા ભગવાનની નજર ઉતારવાની વિધિ પણ કરવામાં આવશે, કારણ કે નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે તેમને નજર લાગી હોવાની માન્યતા છે. આ સંપૂર્ણ યાત્રા કોઈપણ અપ્રિય ઘટના વિના સંપન્ન થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
Published On - 10:41 pm, Thu, 16 July 26