અમદાવાદ કોર્પોરેશનની નવા પશ્ચિમ ઝોન ઓફિસમાં ડેપ્યુટી કમિશ્નર અને વોટર કમિટીના ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી

|

Sep 04, 2021 | 5:54 PM

અમદાવાદ કોર્પોરેશનની વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે અધિકારીઓ લોકોના કામ નથી કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

અમદાવાદ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચે લોકોના કામને લઇને વિવાદ ફરી એક વાર સપાટી પર આવ્યો છે . જેમાંનવા પશ્ચિમ ઝોનની કોર્પોરેશન ઓફિસમાં બબાલ સામે આવી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કોર્પોરેશનની વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ અને ડેપ્યુટી મ્યુનિસપિલ કમિશ્નર સી. આર. ખરસાણ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે.

જેમાં કોર્પોરેશનની વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે અધિકારીઓ લોકોના કામ નથી કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ લોકોના કામના પ્રશ્ને એક સમયે ડેપ્યુટી કમિશ્નર અને વોટર કમિટીના ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ આ બબાલ બાદ ડેપ્યુટી કમિશ્નર સી. આર. ખરસાણ ઓફિસ છોડીને જતાં રહ્યાં હતા.

જ્યારે કોર્પોરેશનની વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ ઓફિસમાં જ ધરણાં પર બેઠા હતાં.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે વિકાસ કામોની ધીમી ગતિ અને લોકોના કામ ન થતાં હોવાની બાબતને લઇને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. જેમાં હાલમાં જ સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં અધિકારીઓ દ્વારા સભ્યોના ફોન ન ઉપાડાતા હોવાની ફરિયાદ પણ સામે આવી હતી.

જેને લઇને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જ અધિકારીઓને લોકોના કામ કરવા અને સભ્યોના ફોન ઉપાડવા માટે તાકીદ કરવામાં આવી હતી. જો કે તેમ છતાં અનેક સ્થળોએ કાઉન્સિલરો અને અધિકારીઓ વચ્ચે વિવાદ થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જો કે આજે તો ભાજપના વોટર કમિટીના ચેરમેનની નારાજગીએ અધિકારીઓ ચૂંટાયેલી પાંખને ગાંઠતા ન હોવાની બાબતને સાબિત કરે છે.

આ પણ વાંચો : કોરોના જ્ઞાનશાળા: વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો તમારા આ સવાલનો સચોટ જવાબ

આ પણ વાંચો : WhatsApp પર લાગ્યો 266 મિલિયન ડૉલરનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો?

Published On - 5:47 pm, Sat, 4 September 21

Next Video