અમદાવાદના ઈકબાલભાઈ વર્ષોથી પતંગના માધ્યમથી સામાજિક સંદેશ પહોંચાડવાનો કરે છે પ્રયાસ

Ahmedabad: સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈકબાલભાઈ તેમનો અનોખો પ્રયાસ ચલાવી રહ્યા છે. તેઓ પતંગ દ્વારા લોકોમાં સામાજિક સંદેશા પહોંચાડવાનો ઉમદા પ્રયાસ વર્ષોથી કરી રહ્યા છે. જેમા આ વર્ષે પણ આ પ્રયાસ યથાવત જોવા મળ્યો છે.

અમદાવાદના ઈકબાલભાઈ વર્ષોથી પતંગના માધ્યમથી સામાજિક સંદેશ પહોંચાડવાનો કરે છે પ્રયાસ
| Edited By: | Updated on: Jan 06, 2023 | 8:10 PM

ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ અને ઉમંગનો તહેવાર છે. ઉત્તરાયણ પર્વ પર લોકો પરિવાર સાથે તેમજ મિત્રો સાથે પોતપોતાના ધાબા પર કે મિત્રોના ઘરની અગાશીએ પતંગ ચગાવવા એક્ઠા થાય છે અને પતંગ ચગાવવાની મજા માણે છે. ખાસ કરીને પોતાના પતંગ દ્વારા બીજાનો પતંગ કાપવાની મજા લોકો માણે છે. આ દરમિયાન પોતાના પતંગ ઓછા કપાય તેના માટે લોકો ચાઈનિઝ દોરીનો પણ ઉપયોગ કરે છે. આ ચાઈનિઝ દોરીમાં જો કોઈ પક્ષી આવી જાય કે વાહનચાલકના ગળામાં આ દોરી ફસાઈ જવાથી કેટલાકના મોત થતા હોય છે. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા તેમજ અન્ય સામાજિક સંદેશાઓ લોકો સુધી પહોંચે તે માટે સરસપુરમાં વર્ષોથી પતંગનો અને દોરીનો વેપાર કરતા ઈકબાલભાઈ તેમનો અનોખો પ્રયાસ ચલાવી રહ્યા છે. જેઓ પતંગ મારફતે લોકોમાં સામાજિક સંદેશાઓ પહોંચે તેવા પ્રયાસ કરી રહ્યા છે. જેમનો પ્રયાસ આ વર્ષે પણ યથાવત જોવા મળ્યો હતો.

કેન્સર વિભાગના તબીબ દ્વારા મળી પ્રેરણા

ઈકબાલભાઈ વર્ષોથી સિઝનલ વેપાર-ધંધા સાથે જોડાયેલા છે. જે દિવાળી દરમિયાન ફટાકડા વેચે છે. રક્ષાબંધન આવતા રાખડીઓ વેચે છે. ઉતરાયણ પર્વે પતંગ-દોરી વેચે છે. ત્યારે તેમના આ વેપાર ધંધાના માધ્યમથી લોકોને સામાજિક સંદેશો પહોંચે તે માટે કેન્સર વિભાગના એક ડોક્ટરે તેમને રાખડીમાં સામાજિક સંદેશા પહોંચાડવાની સલાહ આપી. આ સલાહ બાદ આજ દિન સુધી તેમનો આ પ્રયાસ કાયમી જોવા મળ્યો છે. જેઓ દરેક પર્વ પર લોકોને કોઈના કોઈ સંદેશ આપે છે. તેમા પણ આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156થી વધુ બેઠકો સાથે જીત થઈ છે તેવી ડબલ એન્જિન સરકારના સૂત્ર સાથેના પતંગો બનાવ્યા છે. વડાપ્રધાન મોદીની યોજનાઓ અંગે પતંગમાં સંદેશ અપાયો છે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા દેવલોક પામ્યા અને તેઓએ અંતિમયાત્રામાં આવીને વિધિ પૂર્ણ કરી દેશના કાર્યમાં જોડાયા તેને પણ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ કિડનીના દર્દી માટે, કેન્સરના દર્દી માટે, રક્તદાન માટે અને પક્ષી બચાવવા માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળો તેમજ બેટી બચાવો જેવા વિવિધ સામાજિક સૂત્રો સાથેના પણ પતંગો બનાવ્યા છે. જેથી કરીને આ પતંગ જે લોકો સુધી જાય તે લોકો સુધી આ સંદેશો પહોંચે અને તેઓ કંઈક ને કંઈક સારી બાબત અપનાવી આગળ વધે. સાથે જ વ્યસન મુક્તિ તેમજ આત્મહત્યા ન કરે તેવા પણ સુત્રો તેઓએ પતંગોમાં કંડાર્યા છે. જેમાં ઈકબાલભાઈએ તેઓને કેટલાક અંશે સફળતા મળી હોવાનું પણ જણાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં સરસપુરના માત્ર ઈકબાલભાઈ નહીં પરંતુ અન્ય વેપારીઓ પણ આ જ પ્રકારનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી કરીને તેઓનું એક અલગ આકર્ષણ ઊભું થાય. તેમજ વિવિધ ડિઝાઇન સાથે સામાજિક સંદેશો આપતા પતંગો લોકો ખરીદે અને કંઈક સારા ગુણો તેઓ પોતાના જીવનમાં ઉતારે. તે પ્રકારના પ્રયાસ આ ઉતરાયણ પર્વ પર જોવા મળ્યા છે. પરંતુ ઈકબાલભાઈ સહિત અન્ય વ્યાપારીઓના આ પ્રયાસ ત્યારે સફળ થયા કહેવાશે કે જ્યારે લોકો ખોટી કુટેવો છોડતા થશે અને સારા ગુણો અપનાવતા થશે.

Published On - 5:27 pm, Fri, 6 January 23

Follow Us
Loading...
Unable to load recommendations.