અમદાવાદમાં (Ahmedabad) રીક્ષામાં બેસાડી લૂંટ (Robbery) કરનારા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.. ગીતાંમદિરથી નરોડા રીક્ષામાં મુસાફરી (Rickshaw) કરી રહેલા યુવકને ચપ્પુથી હુમલાઓ કરી મોબાઈલ અને રોકડ સહિતની લૂંટ આરોપીઓએ ચલાવી હતી જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વટવાથી બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં નારોલ પોલીસે ધરપકડ કરેલા બંને આરોપીઓના નામ સાનુ કુરેશી અને મોહમદ તોફીક શેખ છે. આ બંને આરોપીઓમાંથી સાનુ કુરેશી રીક્ષાચાલક છે. જયારે તોફીક શેખ તેનો મદદગાર હતો. આ બંને સાથે મળીને ગ્રાહકને રિક્ષામાં બેસાડીને અવાવરુ જગ્યાએ લઇ જઇને લુંટ ચલાવતા હતા.જેમાં આ ઘટનાની વિગત મુજબ અમદાવાદના નારોલમાં રહેતા પ્રદિપ રાજપૂત 8મી જૂનનાં રોજ સવારે પોતાનાં વતન બિહારથી અમદાવાદ આવ્યા હતા, ત્યારે ગીતામંદિરથી નરોડા જવા માટે તેઓએ ઓટો રીક્ષા કરી હતી.
જે રીક્ષામાં સવાર બંને આરોપીઓએ યુવકને નરોડા લઈ જવાના બદલે જેતલપુર લઈ ગયા હતા અને ત્યાં રીક્ષામાં ચપ્પુથી હાથ પગમાં હુમલો કરી રોકડ રકમ, મોબાઈલ ફોન અને પાસપોર્ટ સહિત 12 હજારનાં માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.જેમાં ફરિયાદી પ્રદિપ રાજપુત પાસે અલગ અલગ દેશોની 7 ચલણી નોટો હતી જે પણ લૂંટી આરોપીઓ યુવકને રીક્ષામાંથી ઉતારી બારેજા તરફ ફરાર થઈ ગયા હતા.જોકે તે સમયે ફરિયાદીએ રીક્ષાનો નંબર જોઈને યાદ કરી લીધો હતો અને તેનાં આધારે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નારોલ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને વટવા પાસેથી ગુનામાં સામેલ બંને આરોપીઓને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા બંને આરોપીઓ દાણીલીમડા વિસ્તારમાં રહે છે અને નશાની ટેવ ધરાવે છે. જેથી નારોલ પોલીસે આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.. તેવામાં રિમાન્ડ દરમિયાન આરોપીઓએ આ પ્રકારે અન્ય કોઈ લૂંટને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં ખુલાસાઓ સામે આવશે.
Published On - 9:40 pm, Sun, 12 June 22