દેશમાં ફરી એક વાર તંત્ર કોરોનાને લઇને સતર્ક થઈ ચૂક્યું છે. કેન્દ્રીય સ્તરે તેમજ રાજ્ય સ્તરે કોરોનાની નવી લહેરનો સામનો કરવા માટે તંત્ર દ્વારા ખાસ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. સાથે જ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા એક વીડિયો કોન્ફરન્સ પણ આયોજિત કરવામાં આવી હતી. વીડ્યો કોન્ફરન્સમાં દેશની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના સંચાલકો સાથે મહત્વની બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. તેમજ જણાવવામાં આવ્યું હતું કે જાહેર સ્થળ ઉપર માસ્ક પહેરીને ફરવું તેમજ હાથ સ્વચ્છ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે. જે પ્રમાણે કોરોનામાં સાબુ અને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ રાખવાની સૂચના આપવામાં આવી હતી તેનું પાલન કરવા માટે જણાવ્યું છે.
વિશ્વભરમાં કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. જેમાં કોરોના પર ભાર મુકાયો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના ગાઇડલાઈનમાં કોઈ ચૂક ન રહે તે માટે સુચના આપી. હવે વિદેશી પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે. આજ સાંજ સુધીમાં સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. તો જાહેર કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઈડલાઈનનું પાલન પણ ફરજીયાત બની શકે છે. હાલ દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે.અમદાવાદની તમામ હોસ્પિટલોમાં દવા સહિતની જરૂરી સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે. કોરોના વોર્ડના અને 1200 બેડ બિલ્ડિંગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સાથે જ હોસ્પિટલોમાં સ્ટાફ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
કોરોનાને લઇને તંત્ર દોડતું થયું છે ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી 57 વર્ષીય પુરૂષનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટીવ આવતા તંત્ર વધારે સતર્ક બન્યું છે અને તમામ હોસ્પિટલમાં પણ અગમચેતી રૂપે સ્ટાફ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં પણ તમામ પીએચસી , સીએસસી સેન્ટરને સજજ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતી સંક્રમિત થઈ છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાથી દિલ્લી થઇને યુવતી રાજકોટ પહોંચી હતી. BF.7ના નવા વેરિઅન્ટને લઇને રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દર્દીએ વેક્સિન લીધી હોવાથી હાલમાં તબિયત સારી છે. કોરોના પોઝિટિવ કેસના પગલે આરોગ્ય વિભાગની ટીમે જાગનાથ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. અને યુવતીના પરિવારજનોના સેમ્પલ લીધા હતા.
કોરોનાના નવા વેરિયન્ટને લઇને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. મનપાના રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની અધ્યક્ષતામાં તબીબોની મહત્વની બેઠક મળી. બેઠકમાં આગામી દિવસોમાં ટેસ્ટિંગ સહિત નવા વેરિયન્ટને પહોંચી વળવા તાકીદ કરવામાં આવી. સુરત મનપાએ સંભવિત કેસો અને દર્દીને દાખલ કરવાની સ્થિતિને ધ્યાને રાખીને 50-50 બેડની 4 હોસ્પિટલ શરૂ કરી છે. શહેરના અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરા એમ ચાર વિસ્તારોમાં ચાર હોસ્પિટલ શરૂ થઇ છે
તો આ તરફ કોરોનાની સંભવિત નવી લહેરને પહોંચી વળવા જિલ્લા તંત્ર પણ સજ્જ થયું છે. રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઑક્સિજનથી સજ્જ 45 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જમ્બો ઑક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયો છે. દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ઇન્જેક્શન અને દવાનો પૂરતો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો છે.
Published On - 1:45 pm, Thu, 22 December 22