Ahmedabad: બંધ રેલવે ક્રોસિંગ ઓળંગવાની ઘટનામાં અનેક મોત, પ્રજાની લાપરવાહી કે તંત્રની બેદરકારી !

|

Aug 16, 2023 | 7:53 PM

જો તમે રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યા છો. તો જરા સાચવજો. કેમ કે તમારી એક ભૂલ તમારો જીવ લઈ શકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં જશોદાનગર ના પુનિતનગરના રેલવે ક્રોસિંગ પર બની કે જ્યાં બંધ રેલવે ક્રોસિંગ ક્રોસ કરવા જતાં એક વ્યક્તિ ટ્રેન નીચે કચડાયો.

Ahmedabad: બંધ રેલવે ક્રોસિંગ ઓળંગવાની ઘટનામાં અનેક મોત, પ્રજાની લાપરવાહી કે તંત્રની બેદરકારી !

Follow us on

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતોની હારમાળા જોવા મળી રહી છે. તે પછી વાહનોના અકસ્માત હોય, ઓવરસ્પીડિંગની ઘટના હોય, કે પછી ટ્રેનની નીચે પડતું મૂકવું કે પછી ટ્રેનની અડફેટમાં આવી જવાની ઘટના હોય. તાજેતરમાં જશોદાનગરમાં પુનિત નગર રેલવે ક્રોસિંગ પર આવી જ ઘટના બની કે જ્યાં ક્રોસિંગ બંધ થઈ ગયા બાદ પણ એક વ્યક્તિ ત્યાંથી પસાર થવા ગયા અને ટ્રેનની અડફેટે આવ્યા.
આ ઘટનામાં તેમનો એક પગ કપાઈ ગયો અને ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજયુ. આ ઘટના બાદ તપાસમાં સામે આવ્યું કે મૃતક ઘોડાસર ના મહેશ જોશી હતા કે જેઓ ક્રોસિંગ બંધ હોવા છતાં પણ ત્યાંથી નીકળવા ગયા અને ટ્રેનની નીચે આવતા તેમનું મોત નીપજ્યું.
ઘટનાના 24 કલાક બાદ Tv9 ને સ્થળ પર રિયાલિટી ચેક પણ કર્યું. રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે લોકો બંધ ક્રોસિંગ હોવા છતાં પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં ફુલ સ્પીડ પર ટ્રેન જઈ રહી છે જે ટ્રેનની પાસે પણ લોકો ઉભા રહીને જાણે તેઓને ક્યાંક ખૂબ ઝડપી પહોંચવું હોય તે પ્રકારે પસાર થતા જોવા મળ્યા. જે જોખમી પણ સાબિત થઈ શકે છે. જોકે લોકો તે બાબતની પરવા નહી કરીને મન ફાવે તેમ પસાર થતા જોવા મળ્યા.
આ સ્થળ પર લોકોમાં જાગૃતિનો અભાવ તો જોવા મળ્યોજ સાથે જ તંત્રની બેદરકારી પણ જોવા મળી હતી. કારણ કે તે જ ક્રોસિંગ પાસે ફાટક ખોલનાર કર્મચારી પણ છે. સાથે જ આરપીએફના જવાનો પણ હોય છે. જોકે તેમાંથી કોઈની પણ રોકટોક ત્યાં દેખાતી નથી હોતી અને માટે જ લોકો બંધ ક્રોસિંગ હોવા છતાં પણ ત્યાંથી પસાર થતા રહે છે અને આ પ્રકારની અકસ્માતની ઘટના બને છે.
બીજું કારણ એ પણ છે કે જે ક્રોસિંગ બનાવવામાં આવ્યું છે તેની પાસે ચાલતા નીકળવા જવાની જગ્યા પણ રાખવામાં આવી છે. જ્યાંથી રાહદારીઓ પસાર થઈ જાય છે. તેમ જ કેટલાક લોકો સાયકલ લઈને પણ નીકળી જાય તેવી જગ્યા છે. જેના કારણે પણ આ પ્રકારની ઘટના બનતી હોવાનું લોકોનું માનવું છે. સાથે જ લોકોના આક્ષેપ છે કે ક્રોસિંગ પર પોલીસ કર્મચારી કે અન્ય વ્યક્તિ રાખવામાં આવે તો આ પ્રકારની ઘટના ન બને. પરંતુ તે ન હોવાથી આ પ્રકારની ઘટના બનતી હોવાના પણ સ્થાનિકોના આક્ષેપ છે. જે બાબતે પણ સ્થાનિકોએ તંત્રને ધ્યાન આપીને કામગીરી કરવા અપીલ કરી હતી.
બીજી તરફ રેલવે અધિકારીએ આ પ્રકારના બનાવ બનતા હોવાનું જણાવ્યું. જેમાં લોકોને સચેત રહેવા સૂચન કર્યું. તેમજ અવાર નવાર સોશિયલ મીડિયા મારફતે આ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવતી હોવાનું જણાવ્યુ. નાટક કે અન્ય પ્રવૃત્તિ કરી ને પણ લોકોને જાગૃત કરવામાં આવતા હોવાનું જણાવ્યું. સાથે જ ટ્રેસ પાસિંગ કરનાર લોકો સામે રેલવે કાર્યવાહી કરી દંડ કરતા હોવાનું પણ જણાવ્યું.
એક અંદાજ મુજબ દરરોજ 500 લોકોને દંડ કરવામાં આવતા હોવાનો અંદાજ છે. જોકે તેમ છતાં લોકો સુધરી નથી રહ્યા અને આ પ્રકારના બનાવ બને છે. તેમજ ક્રોસિંગ પાસે રાહદારી માટે રસ્તો રાખતો હોવાનું જણાવીને કર્મચારી રાખવા બાબતે વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે તેમ પણ રેલવે PRO એ જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે જશોદાનગરમાં પુનિત નગર રેલવે ક્રોસિંગ બંધ હોવા છતાં પણ નીકળવા જતા મહેશ જોશીનું ટ્રેનની નીચે આવી જતા મોત નીપજ્યુ. તેમજ મણીનગરમાં થોડાક દિવસ પહેલા ચાલુ ટ્રેને એક મહિલા પડી જતા તેઓ ઘાયલ પણ થયા હતા. તો તાજેતરમાં જ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2 પર રહેલ ટ્રેન પર એક વ્યક્તિએ ચડી ઇલેક્ટ્રીક વાયર પકડીને આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad: મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કેસમાં ખુલાસો, મૂળ રાજસ્થાનના યુવકે રચ્યુ હતુ ષડયંત્ર
આવી અનેક ઘટનાઓ રેલવે ટ્રેક અને રેલ્વે સ્ટેશન પર બનતી હોય છે. જેને રોકવામાં રેલવે વિભાગે હજુ વધુ ધ્યાન આપવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે.  જેથી કરીને તેમની નીચે પડતું મૂકનારા કે પછી આકસ્મિક રીતે તેમની નીચે આવી જનાર લોકોના મોતના આંકડાને ઘટાડી લોકોને સુરક્ષિત બનાવી શકાય.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:52 pm, Wed, 16 August 23

Next Article