
Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે રવિવારે નેત્રોત્સવની વિધિ યોજાશે. અમદાવાદના જમાલપુર સ્થિત પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિ સમયે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેશે. ભગવાન જગન્નાથ, બલભદ્રજી, બહેન સુભદ્રાજી પંદર દિવસ સરસપુરમાં મામાના ઘરે રહ્યાં બાદ પરત ફર્યા છે. ત્યારે પ્રભુનો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનનો પ્રવેશ કરાવવામાં આવશે. પ્રભુએ મોસાળમાં રોકાણ સમયે મિષ્ટાનો અને જાંબુ વધુ આરોગ્યા હોવાથી આંખો આવે છે.
જેથી ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે પાટા બાંધી દેવામાં આવે છે. આ પ્રભુની આંખે પાટા બાંધવાની વિધિ જ નેત્રોત્સવ વિધિ તરીકે ઓળખાય છે. અષાઢી બીજે રથયાત્રાના દિવસે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે. નેત્રોત્સવ વિધિ બાદ અંદાજે સવારે સાડા નવ કલાકે ધ્વજારોહણ વિધિ થશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારથયાત્રાના રૂટ પર સુરક્ષાનું નિરીક્ષણ કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુરક્ષા અંગે માહિતી આપી. પોલીસ કમિશનર દ્વારા રૂટ પર નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને બેરિકેટિંગ મુકવાના લોકેશનના સૂચનો કરવામાં આવ્યા છે.
રથયાત્રાના દર્શને આવતા લોકો બેરિકેટની પાછળ ઉભા રહે તેવી પોલીસે અપીલ કરી છે. જ્યારે કે શ્રદ્ધાળુઓની ભીડ પર નજર રાખવા માટે કુલ 25 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ઇમરજન્સી માટે 16 જેટલી એમ્બ્યુલન્સ પણ તૈનાત રહેશે. જ્યારે કે 17 જન સહાયતા કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે.
રથયાત્રામાં ટ્રાફિકને લઇને પણ અલગ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મંદિર પર રાત્રે 2 વાગ્યાથી વીઆઇપી બંદોબસ્ત રહેશે. જ્યારે કે રથયાત્રામાં જનારા ટ્રકનું પાર્કિંગ ફૂલ બજાર પાસે રહેશે. 100 જેટલી ટ્રકોને ત્યાંથી નંબર ફાળવી રવાના કરવામાં આવશે. સરસપુર ખાતે પણ કોઇ મુશ્કેલી ન પડે તે રીતે પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. રથયાત્રાના રૂટ પર 27 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે. વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે રોડ પર ડાયવર્ઝન કરાયું છે.
અસામાજિક તત્વો રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી માહોલ બગાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે પોલીસે અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા પર આવતી આ પ્રકારની માહિતીઓ પર ધ્યાન ન આપવા લોકોને અપીલ કરી છે.