
અમદાવાદ-જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન (Vande Bharat Express) નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 7 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશમાં શરુ થઈ રહેલી નવી ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપનારા છે. જેમાંથી એક ટ્રેન અમદાવાદ-જોધપુર વચ્ચે દોડનારી છે. આ ટ્રેન નિયમિત રુપે આગામી 9, જુલાઈ એટલે કે રવિવારથી થનારો છે. આ માટે પશ્ચિમ રેલવે દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રવિવારથી વંદે ભારત ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડનારી છે. જેનો લાભ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને મળનારો છે.
હાઈસ્પીડ રેલવે ટ્રેનનો ગુજરાતમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાલમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે અને હવે રાજસ્થાન સાથે સીધી રીતે હાઈસ્પીડ ટ્રેન સેવાનો લાભ મળશે. નવી ટ્રેન સેવાને લઈ અમદાવાદથી રાજસ્થાનના જોધપુર તરફ પ્રવાસે જનારાઓને મોટી રાહત થશે. આ ઉપરાંત રાજસ્થાનના પરિવારોને પણ ઝડપી રેલ સેવાનો લાભ મળશે.
શરુ થઈ રહેલી નવી હાઈસ્પીડ ટ્રેનમાં રિકલાઇનિંગ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ સહિત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન પ્રવાસીઓને કોલ બટન, બાયો-ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે દ્વારા મુસાફરો ને વિશ્વ કક્ષાની આરામદાયક અને સારી સુવિધા પૂરી પાડશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતીથી ઉપડનારી જોધપુર વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 9 જુલાઈ 2023 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. મંગળવારે ટ્રેન મેઈન્ટેન્સના કારણોસર નહીં ચાલે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 12462 અમદાવાદથી જોધપુર જવા માટે સાબરમતીથી 16.45 કલાકે બપોરે ઉપડશે. જે ટ્ર્રેન રાત્રે 22.55 કલાકે જોધપુર પહોંચશે. વળતી ટ્રેન નંબર 12461 જોધપુરથી અમદાવાદ માટે સવારે 5.55 કલાકે ઉપડશે અને 12.05 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં અવર જવર કરવા દરમિયાન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના અને પાલી મારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે. આમ ઉત્તર ગુજરાતના રેલવે સ્ટેશનના પ્રવાસીઓને સીધો લાભ મળશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ પણ સામેલ છે.
Just 2 days to go for an exquisite, magical voyage with #VandeBharatExpress on the Jodhpur-Ahmedabad (Sabarmati) Route.#VandeBharatExpress pic.twitter.com/EUlIVHkBNj
— Ministry of Railways (@RailMinIndia) July 5, 2023
7 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. જેમાં અમદાવાદ સાબરમતી જોધપુર વંદે ભારતને તેઓ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપશે. 7 જુલાઈએ બપોરે લીલી ઝંડી આપતા આ ટ્રેન જોધપુર થી અમદાવાદ તરફ રવાના થશે. બપોરે ટ્રેન ઉપડીને સાંજે 7:00 વાગ્યાના અરસામાં મહેસાણા પહોંચશે. જે રાત્રે 9:00 વાગ્યા ના અરસા દરમિયાન અમદાવાદ સાબરમતી પરત પહોંચશે.
Published On - 9:02 pm, Wed, 5 July 23