Ahmedabad: ગ્રાન્ટેડ શાળા સંચાલકો ખેલ મહાકુંભનો કરશે બહિષ્કાર, જ્ઞાન સહાયકોને શાળામાં હાજર નહીં કરવાની આપી ચીમકી- Video

Ahmedabad: પડતર પ્રશ્નોને લઈ રાજ્યની રાજ્યની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ખેલ મહાકુંભનો કરશે બહિષ્કાર. સંચાલકો કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. જો માંગ સંતોષવામાં નહીં આવે તો ખેલ મહાકુંભમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો રજિસ્ટ્રેશન નહીં કરાવે અને રજિસ્ટ્રેશન ન થવાથી વિદ્યાર્થીઓ પણ નહીં જોડાઈ શકે.

| Edited By: | Updated on: Oct 03, 2023 | 9:20 PM

Ahmedabad: છેલ્લા બે-ત્રણ મહિનાથી આંદોલન ચલાવી રહેલ ગ્રાન્ટેડ શાળા સંચાલકો, આચાર્યો, કર્મચારીઓ હવે આગામી તબક્કામાં સરકાર સામે અસહકારનું આંદોલન ચલાવશે. ગ્રાન્ટેડ શાળા સંચાલકોની સંકલન સમિતિએ પડતર પ્રશ્નોને લઈ ખેલ મહાકુંભનો બહિષ્કાર તેમજ જ્ઞાન સહાયકોને પોતાની શાળામાં હાજર જ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

જ્ઞાન સહાયકોને શાળામાં હાજર નહીં કરવાની પણ ચીમકી

ગ્રાન્ટેડ શાળાઓની પડતર માંગણીઓને લઈ ચાલી રહેલ આંદોલનમાં હવે સંચાલકોએ સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષકોની કાયમી ભરતી અને અગાઉ મંજૂર કરવામાં આવેલ સાત માંગણીઓ પૂર્ણ નહીં થાય તો સંચાલકો ખેલ મહાકુંભનો બહિષ્કાર કરશે તેમજ ભવિષ્યમાં ગ્રાન્ટેડ શાળાઓને મળનાર જ્ઞાન સહાયકોને શાળામાં નિમણૂંક નહીં આપે. શિક્ષણ સાથે સંકળાયેલ અલગ અલગ પાંચ સંઘની 7 જેટલી પડતર માંગણીને લઇ સંકલન સમિતિએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર માંગણીઓ પૂર્ણ નહીં કરે તો કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો સંચાલકો વિરોધ કરી DEO તરફથી ફાળવવામાં આવનાર જ્ઞાનસહાયક યોજના હેઠળ મળેલ શિક્ષકોને નિમણૂક નહીં આપે.

વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ન કરવાની ચીમકી

આ સિવાય ખેલ મહાકુંભમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો રજિસ્ટ્રેશન નહીં કરાવે. શિક્ષકોના રજિસ્ટ્રેશન નહીં થવાથી બાળકો પણ નહીં જોડાઈ શકે. મહત્વનું છે કે શિક્ષણ સંકલન સમિતિ છેલ્લા 2 મહિનાથી આંદોલન ચલાવી રહી છે. જેમાં ક્લાર્ક, પટ્ટાવાળા, ગ્રંથપાલની ભરતી ગ્રાન્ટ-ઇન-એડ પસંદગી સમિતિ મુજબ કરવા, 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અને શિક્ષકોની ભરતી કરાર આધારીતને બદલે કાયમી કરવા માંગ થઈ રહી છે.

આ પણ વાંચો: Breaking News : અમદાવાદમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે, એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા કરાશે શરૂ, જુઓ Video

પડતર નહીં પરંતુ વિધાનસભા પૂર્વે સરકારે સ્વીકારેલ માંગણીઓ: અમૃત ભરવાડ

શાળામાં રામધૂન, રેલી, ધરણા, આવેદનપત્ર, થાળી-વેલણ ખખડાવવા સહિતના અનેક આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા બાદ હજીપણ માંગણીઓ ઉભી જ છે. હવે જ્યારે મંગણીઓનો અંત નથી આવ્યો ત્યારે અસહકારની લડત લડવાની જાહેરાત કરી છે. સંકલન સમિતિ સાથે સંકળાયેલ તેમજ અમદાવાદ શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અમૃત ભરવાડ જણાવે છે કે આ અમારી પડતર માંગણીઓ નથી પરંતુ 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના શિક્ષણ મંત્રી, નાણાંમંત્રી અને અધિકારીઓએ સ્વીકારેલ અને બાંહેધરી આપેલ બાબતો છે. જેનો બાદમાં સ્વીકાર કરવામાં નથી આવ્યો. એટલા માટે જ હવે અમે ખેલ મહાકુંભનો બહિષ્કાર અને જ્ઞાનસહાયકોને હાજર નહીં કરવાનો નિર્ણય લઈ અસહકારના આંદોલનનું રણશિંગુ ફૂંકયું છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:12 pm, Fri, 29 September 23