
અમદાવાદમાં હત્યાઓના બનાવ જાણે કે વધવા લાગ્યા છે. એક બાદ એક હત્યાઓ છેલ્લા એક સપ્તાહમાં નોંધાઈ રહી છે. બીજી તરફ જોકે અમદાવાદ પોલીસ હત્યારાઓને ઝડપથી ઝડપી લઈ રહી છે. પરંતુ અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી મળેલી લાશ ને લઈ હત્યારાઓને શોધવા એ પોલીસ માટે રુના ઢગલામાંથી સોય સોધવા સમાન પડકાર છે.
આનંદનગર વિસ્તારમાં પાંચા તળાવ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી સ્થાનિક લોકોને દુર્ગંધ આવતા આસપાસ તપાસ કરી હતી. અવાવરું જગ્યાએથી મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસ આજે એફએસએલ ની ટીમ પહોંચી તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે મૃતદેહમાં માથું શરીરથી અલગ થઈ ગયું હતું અને એકદમ કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. આ મૃતદેહ અંદાજે 35 વર્ષના પુરુષનો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ત્રણથી ચાર દિવસથી અહીં પડેલો છે જેને કારણે કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.
જો કે કોઈ પશુએ પણ મૃતદેહને ચૂંથી નાંખ્યો હોય તેવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા થઈ છે કે કુદરતી રીતે મોત નીપજ્યું છે. જો હત્યા થઈ છે તો અન્ય જગ્યા ઉપરથી હત્યા કરી અને અહીં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો છે કે કેમ તેને લઈને પણ પોલીસે વધુ તપાસ કરી છે.
એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે અને ખ્યાલ આવશે કે ખરેખર આ હત્યા છે કે કુદરતી રીતે મોત નીપજ્યું છે. પરંતુ હવે આ મૃતદેહ કોનો છે તેની ઓળખ માટે પોલીસે અલગ અલગ વીમો બનાવી અને વધુ તપાસ કરી છે. મહત્વનું છે કે જે અવાવરું જગ્યા પર મૃતદેહ મળી આવ્યો છે ત્યાંથી એકદમ નજીક પોલીસ ચોકી પણ આવેલી છે. ત્યારે આ પ્રકારની ઘટના થી પોલીસ સામે પણ સવાલો ઊભા થાય છે.
Published On - 8:10 pm, Sun, 5 November 23