અમદાવાદ મનપાના અધિકારી સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલ્કત મળી આવતા કરાયા સસ્પેન્ડ, કોંગ્રેસે મનપા સામે માંડ્યો મોરચો- વીડિયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ-2 અધિકારી સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલ્કતની ACB દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોતાની આવક કરતા વધુ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચનારા સુનિલ રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. હવે આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ પણ આક્રમક છે અને કમિશનરને મળી તમામ એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે તપાસ કરવાની માગ કરી રહી છે.

| Edited By: | Updated on: Jan 30, 2024 | 7:49 PM

અમદાવાદમાં વધુ એક લાંચિયા અધિકારીના ભ્રષ્ટાચારનો ભાંડો ફુટ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહપુર વોર્ડના ક્લાસ-2 અધિકારીએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમની સામે ACB દ્વારા અપ્રમાણસર મિલક્તની ફરિયાદ પણ નોંધાઈ છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસે પણ શાસક પક્ષ સામે મોરચો માંડ્યો છે. કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈને કોર્પોરેશનમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને બેઈમાન અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી.

AMCના તમામ એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલ્કતની થાય તપાસ- શહેઝાદખાન પઠાણ

વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે શાસક પક્ષ સામે આક્ષેપ કર્યો કે એએમસીના દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. જેમા સૌથી વધુ ભ્રષ્ટાચાર એસ્ટેટ વિભાગમાં ચાલે છે. તેમણે આરોપ લગાવ્યો કે આ ભ્રષ્ટાચાર સામે એએમસીના કમિશનર કે મેયર આંખ આડા કાન કરી રહ્યા છે. શહેઝાદખાને માગ કરી કે જેટલા પણ એસ્ટેટ અધિકારીઓ અને ઈન્સપેક્ટર છે તેમની સામે તપાસ કરવામાં આવે, તેમજ જેમની સંપત્તિ આય થી વધુ હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે શહેઝાદખાને આરોપ લગાવ્યો કે નવા પશ્ચિમ વિસ્તારમાં જ્યાં વીવીઆઈપી લોકો રહે છે ત્યા આ પ્રકારના લાંચિયા ઈન્સપેક્ટર બિલ્ડરોને લાભ પહોંચાડવાનું કામ કરે છે અને માત્ર મધ્યઝોન વિસ્તારમાં ટાર્ગેટેડ ડિમોલિશનની કાર્યવાહી થાય છે.

2010 થી 2020ના કાર્યકાળ દરમિયાન સુનિલ રાણાએ આચર્યો ભ્રષ્ટાચાર

એએમસીના વોર્ડ ઈન્સપેક્ટર સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલ્કતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુનિલ રાણા અમદાવાદ કોર્પોરેશનના ક્લાસ-2 અધિકારી છે. તેમના 10 વર્ષના સમયગાળાની તપાસમાં અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. વર્ષ 2010 થી 2020ના સમયગાળામાં વોર્ડ ઈન્સપેક્ટર સુનિલ રાણાએ પગારની આવક કરતા 2.75 કરોડની અપ્રમાણસર મિલક્તો વસાવી ભ્રષ્ટાચાર આચર્યો છે. અધિકારીના પત્ની અને દીકરીના નામે પણ ત્રણ મકાન અને દોઢ કરોડની અલગ અલગ બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરેલી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. આ મિલકત સુનિલ રાણાની આવકની સરખામણીએ 307 ટકા વધારે હતી.

આ પણ વાંચો: બ્રેકિંગ ન્યૂઝ: જુનાગઢમાં 335 જેટલા બેંક એકાઉન્ટના તોડકાંડમાં ફરાર ASI દીપક જાનીની કરાઈ અટકાયત, ATS એ શરૂ કરી પૂછપરછ

સુનિલ રાણાની પાસે આવક કરતા 306 ટકા વધુ મિલક્ત મળી

એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ એએમસીના વોર્ડ ઈન્સપેક્ટર સુનિલ રાણાના નામે બે ફ્લેટ છે. જે પૈકી એક બાલાજી અઘોરા મોલ નજીક અને અન્ય ફ્લેટ જાસ્મીન ગ્રીન નામની વૈષ્ણૌદેવી નજીક આવેલી સ્કીમમાં આવેલો છે. જ્યારે ખાડિયા સારંગપુરમાં પણ તેમની એક મિલક્ત છે. તેમણે રોકડ રકમ આપી જુદી જુદી બેંકમાં 84 એફડી કરાવેલી છે. જેનો આંકડો દોઢ કરોડથી ઉપરનો છે. તેમની કાયદેસરની આવક કરતા બે કરોડ 75 લાખ 18 હજાર ની વધુ મિલકતો વસાવેલી છે. જેમા એફડી જ દોઢ કરોડની કિંમતની થઈ જાય છે. અલગ અલગ બેંકમાં કરેલી તમામ 84 એફડી ફ્રીઝ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો