સમગ્ર ભારત દેશ આજે 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતની વડી અદાલતમાં પણ ઉલ્લાસભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટ પરિસર ખાતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલાબેન ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. ગણતંત્રની ઉજવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં મહિલાબળ વધુ જોવા મળી રહ્યું હતું. ધ્વજવંદન કર્યા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બેલાબેન ત્રિવેદી તથા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઇકોર્ટ પરિસરમાં આવેલી મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર જણાવ્યું કે આ ગણતંત્ર દિવસે તમામ ન્યાયાધીશો એ 35 થી 40 વર્ષ જૂના પડતર કેસના ઝડપી નિકાલ આવે તેવા પ્રયાસો કરવા આ ઉપરાંત છેવાડાના વ્યક્તિને યોગ્ય ન્યાય મળે તે દિશામાં કામ કરે તેમ પણ જણાવ્યું.
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ દિવસે આપણે ભારત દેશના નાગરિકોએ પોતાને પોતાનું બંધારણ આપ્યું ત્યારે દરેક તબક્કાના જજીસે જુના પડતર કેસોના નિકાલ ની દિશામાં કામ કરવાની જરૂરિયાત છે.બંધારણે આપેલા હકો અને ફરજોની યોગ્ય રીતે અમલવારી થાય તે જોવાની જવાબદારી તમામની લોકોની છે. ગણતંત્ર દિવસની ઉજવણીમાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બેલા ત્રિવેદી પણ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.નારી શક્તિ વિશે ચીફ જસ્ટીસે સંસ્કૃતના એક શ્લોકને ટાંકતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે તેવું કહેવાય છે ત્યારે નારી શક્તિનું મહત્વ તમામે સમજવાની જરૂર હોય છે.
નોંધનીય છે કે આજે આખા દેશ સહિત રાજયભરમાં પ્રજાસતાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં વિવિધ જિલ્લા અને શહેરોમાં નાગરિકોએ સામાજિક જાગૃતિના સંદેશ સાથે આ ઉજવણી કરી હતી.