Ahmedabad: શહેરમાં અસામાજિક તત્વો બેફામ, ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો

Ahmedabad: શહેરમાં અસામાજિક તત્વો દિવસે દિવસે વધુ બેફામ બની રહ્યા છે. અસામાજિક તત્વોએ ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો છે. વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad: શહેરમાં અસામાજિક તત્વો બેફામ, ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો
આરોપી રણજીત ભરવાડની ધરપકડ
| Edited By: | Updated on: Feb 16, 2023 | 9:51 PM

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. નવા વાડજ વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો. સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ફરિયાદને આધારે રણજીત ભરવાડ નામના આરોપીની ધરપકડ કરી છે. જે વેપારીઓને ધંધો કરવા ખંડણીની માગ કરતો હતો. શહેરના નવાવાડજ વિસ્તારમાં નાસ્તાની દુકાન ચલાવતા માલીક પ્રકાશ પટેલને આ આરોપીએ અપહરણ કરીને માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે.

આરોપીએ વેપારી પાસેથી ખંડણી પેટે પ્રોફીટનો 50 ટકા હિસ્સો માગ્યો

આરોપીએ દુકાનના માલીક પાસેથી ખંડણી રૂપે પ્રોફીટનો 50 ટકા હિસ્સો માંગ્યો હતો અને તેના કારીગરોને લઇ જવાની વાત કરી હતી. દુકાનના માલીકે ટપોરીની વાત નહી માનતા મામલો બીચક્યો હતો. ટપોરીએ નાસ્તાની બે દુકાનો બળજબરી પુર્વક બંધ કરાવી દીધી હતી અને બાદમાં માલીકનું અપહરણ કરીને લઇ ગયો હતો અને માર માર્યો હતો. આ ઘટનાથી વેપારી દહેશતમાં છે અને આવા અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવાની માગ કરી છે.

આરોપી રણજીત ભરવાડે કારીગરોને લઈ જવાની આપી ધમકી

નવા વાડજ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 40 વર્ષિય પ્રકાશ પટેલે વાડજ પોલીસ સ્ટેશનમાં રણજીત કાળુભાઇ ભરવાડ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. પ્રકાશ પટેલ કૃષ્ણનગર સોસાયટીમાં જય અંબે નાસ્તા સેન્ટર નામની દુકાન ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. વેલેન્ટાઇડ ડે ના દિવસે નવા વાડજ ભરવાડ વાસમાં રહેતો રણજીત ભરવાડ પ્રકાશ પટેલની નાસ્તાની દુકાન પર આવ્યો હતો અને કહેવા લાગ્યો કે મારે તારો કારીગર લઇ જવો છે મારે ભરવાડ વાસમાં નાસ્તાની દુકાન કરવી છે.

50 ટકા ભાગ  આપવાની ના પાડતા અપહરણ કરી માર માર્યો

પ્રકાશ પટેલ કઇ જવાબ આપે તે પહેલા રણજીતે તેમના કારીગરને ધમકાવવાની કોશિષ કરી હતી. આરોપી ચારભુજા ફરસાણવાળા પાસેથી 30 ટકા લે છે અને તેની 2 દુકાનના ધંધાના 50 ટકા ભાગની માગ કરી હતી પરંતુ વેપારી નહિ આપતા અપહરણ કરીને માર માર્યો હતો. જેને લઈને વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી.

પકડાયેલ આરોપી રણજીત ભરવાડ કુખ્યાત છે. અગાઉ વાડજ અને નરોડા પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયા હતા. આરોપી વેપારીઓમાં દહેશત વધારીને ખડણીનું નેટવર્ક ઉભું કરવા માંગતો હતો પરંતુ પોલીસની કડક કાર્યવાહીથી આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. હાલમાં વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.