આગામી નાણાકીય વર્ષ 2023-24ના બજેટ માટે અમદાવાદ મનપાએ નાગરિકો પાસેથી સૂચન માગ્યા છે. કોર્પોરેશનના ઇતિહાસમાં આ ઘટના પ્રથમ વાર આવી પહેલ જોવા મળી રહી છે. રોડ, ગટર અને પાણી સહિતની સુવિધાઓ માટે લોકો પોતાના સૂચન આપી શકશે.સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોના સૂચન મંગાવી રહ્યું છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ નાગરિકો સૂચન મોકલીને કેવા પ્રકારની સુવિધા અને કઈ કઈ કામગીરીઓની અપેક્ષા રાખી રહ્યા છે, તે કોર્પોરેશનને જણાવી શકે છે. જેના આધારે AMC પોતાનું બજેટ બનાવશે અને લોકો સમક્ષ રજૂ કરશે.
નાગરિકો પોતાના વિસ્તારમાં સુવિધાઓ જેમ કે પાણીની ટાંકી, રોડ, ડ્રેનેજ લાઈન અંગે સૂચનો મોકલી શકે છે. સાથે જ બાગ બગીચા, સ્ટ્રીટ લાઈટ, બ્રિજ, ફૂટપાથ, પેવરબ્લોક સહિતની વિવિધ સુવિધાઓ અને પ્રોજેક્ટ માટે સૂચનો કરી શકે છે. નાગરિકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને શહેરના વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવે છે. ગત વર્ષે 8000 કરોડનું બજેટ ભાજપના શાસકોએ મંજૂર કર્યુ હતું.
દરમિયાન આજે મહત્વના સમાચાર પ્રાપ્ત થયા હતા કે રાજ્ય સરકારનું બજેટ સત્ર તારીખ 20 ફ્રેબુઆરીથી શરૂ થશે. આ દરમિયાન રાજયના નાણા પ્રધાન કનુ દેસાઈ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. આગામી 21 ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે. બજેટ સત્ર દરમિયાન 30 દિવસ સુધી વિધાનસભાની કામગીરી ચાલશે. નાણા પ્રધાન તરીકે કનુ દેસાઈનું બીજુ બજેટ હશે. વર્ષ 2022માં તેમણે કોઈ પણ કરવેરા વિનાનું રૂપિયા 2,43,965 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાજેતરમાં જ વર્ષ 2022ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ હતી અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે. આમ તો ગત વર્ષે પણ કનુ દેસાઇએ જ નાણાંમંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ હતુ. જો કે આ વખતે સ્થિતિ કઇક અલગ હશે. ત્યારે બજેટ માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગત વર્ષે રાજ્યના ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ હતી. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી હતી તો સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી હતી.
Published On - 1:23 pm, Sat, 21 January 23