અમદાવાદ શહેરને આમ તો સ્માર્ટસીટી કહેવામાં આવે છે પણ સ્માર્ટસીટીમાં જોવા મળતી સુવિધા કહેવાતા સ્માર્ટસીટી અમદાવાદના શહેરીજનોને ક્યારે મળશે તે મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે શહેરમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ પડે કે તરત જ રસ્તાઓ ધોવાઇ જાય છે અને ખાડા પડી જાય છે. જેને કારણે રસ્તાઓ ઉબડ ખાબડ જોવા મળતા હોય છે, પણ હવે તો આનાથી શહેરીજનો ટેવાઈ ગયા છે.
અમદાવાદનો ઝડપથી વિકાસ પામી રહેલ વસ્ત્રાલ આવો જ એક વિસ્તાર છે. છેલ્લા 3 વર્ષમાં વસ્ત્રાલ વિસ્તાર ખુબ વિકસિત થયો છે પણ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કશું મળ્યું નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ શહેરીજનોએ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને ઘરેથી ઓફિસ અને અન્ય કામ કરવા જવું પડી રહ્યું છે.
વસ્ત્રાલ રીંગરોડ પાસે આવેલ ઓમ સર્કલ નજીક છેલ્લા 3 વર્ષથી AMC દ્વારા પીવાની પાણીની ટાંકી બનાવાઈ છે, જો કે તેના કનેક્શન વિવિધ સોસાયટીઓમાં હજુ સુધી પહોંચ્યા નથી. આ કામગીરી હવે ચોમાસાની સીઝનમાં શરૂ કરવામાં આવી છે. જેને કારણે ઓમ સર્કલની આસપાસ AMC દ્વારા વિવિધ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે અને પાઇપલાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન ડ્રેનેજની લાઈનમાં ભંગાળ પડતા ડ્રેનેજના ગંદા પાણી જાહેર રોડ પર આવી જાય છે જેનાથી આસપાસની સોસાયટીમાં તીવ્ર દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
વસ્ત્રાલના ઓમ સર્કલ પાસે કરવામાં આવી રહેલ કામગીરીને કારણે આ વિસ્તારમાં વાહન લઈને જવામાં તો મુશ્કેલી નડી જ રહી છે. પરંતુ સ્થાનિકો ચાલતા પણ ક્યાંય બહાર નીકળી શકે એમ નથી. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર AMC ના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ AMCના સત્તાધીશોને જાણે પૂર્વ અમદાવાદમાં વિકાસના કામો કરવામાં કોઈ તકલીફ હોય તેમ સ્થાનિકોની ફરિયાદો પણ ધ્યાન આપવામાં આવતું નથી.
વસ્ત્રાલ વિસ્તારના સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં ડ્રેનેજ લાઈન રીપેરીંગ તેમજ પીવાના પાણીની લાઈન નાંખવાની કામગીરી વહેલીતકે પૂર્ણ કરવામાં આવે જેથી શહેરીજનીની સમસ્યા ઓછી થાય.
Published On - 1:56 pm, Mon, 26 July 21