
અમદાવાદ શહેરમાં AMTS અને BRTSની નવી ઈલેક્ટ્રીક બસોને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તંત્ર દ્વારા મુસાફરો માટે કુલ 325 જેટલી નવી AC બસોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ તેમાંથી હાલમાં 125 જેટલી બસો ડેપોમાં ધૂળ ખાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ બાબતે જ્યારે અધિકારીઓ સમક્ષ સવાલો ઊભા થયા, ત્યારે તેમણે બસની આ સ્થિતિ અંગે લૂલો બચાવ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, ACની ખામીના કારણે છેલ્લા 5 મહિનાથી આ બસો બંધ પડી છે. જો કે, વિવાદ સામે આવ્યા બાદ અધિકારીઓએ વહેલી તકે મુસાફરો માટે આ બસો ફરી શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી છે.
ખાસ વાત એ છે કે, અમદાવાદ મનપાના અંધેર વહીવટની સાબિતી આપતા ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક તરફ દેશમાં ઇંધણના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર પ્રદૂષણ મુક્ત “ઇલેક્ટ્રિક વાહનો”નો ઉપયોગ કરવા પર સતત ભાર મૂકી રહી છે, ત્યારે અમદાવાદના તંત્રને આ બાબતે કોઈ અસર જ ન થતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
શહેરના લાલ દરવાજા પાસે નવી ખરીદાયેલી અંદાજે 75 જેટલી AMTSની ઇલેક્ટ્રિક બસો ડેપોમાં ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે. કરોડોના ખર્ચે ખરીદાયેલી 125 જેટલી નવી ઈલેક્ટ્રિક બસો છેલ્લા 5 મહિનાથી વિવિધ ખામીઓના કારણે ધૂળ ખાઈ રહી છે. આ બંધ પડેલી બસોના લીધે હવે આ વિસ્તારો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે, જેનાથી સ્થાનિક લોકો અને મુસાફરો પરેશાન છે.
જો કે, આ મામલે અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અધિકારીનું કહેવું છે કે, શહેરભરમાં માત્ર 75 નહીં પરંતુ કુલ 125 જેટલી નવી બસો વિવિધ ખામીના લીધે ધૂળ ખાઈ રહી છે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે, આ તમામ બસોને ટૂંક જ સમયમાં રિપેર કરીને ફરી શરૂ કરવામાં આવશે.