દિપડાએ ઘર બદલ્યું ! નજરે જોનારાએ ફોટા સાથે કહ્યું, ચાંદખેડામાં દિપડો જોયો, વન વિભાગની કોઈ પુષ્ટી નહીં, છતા શોધખોળ કરાશે

તાજેતરમાં ઘુમા વિસ્તારમાં પણ દીપડો દેખાયાની ઘટના સામે આવી હતી. જોકે, ચાંદખેડામાં દેખાયો હોવાનો દાવો કરાયેલો દીપડો અને ઘુમામાં જોવા મળેલો દીપડો એક જ છે કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. બંને વિસ્તારો વચ્ચે 20 કિલોમીટરથી વધુનું અંતર હોવાથી આ અંગે પણ વન વિભાગે કોઈ નિષ્કર્ષ જાહેર કર્યો નથી.

દિપડાએ ઘર બદલ્યું ! નજરે જોનારાએ ફોટા સાથે કહ્યું, ચાંદખેડામાં દિપડો જોયો, વન વિભાગની કોઈ પુષ્ટી નહીં, છતા શોધખોળ કરાશે
| Updated on: Jul 21, 2026 | 8:00 PM

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરતી એક તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે, વન વિભાગે અત્યાર સુધી આ વિસ્તારમાં દીપડો હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. વાયરલ તસવીર બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક કેફેના સંચાલકે એવો દાવો કર્યો છે કે, ગત રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ તેમને કારમાં જતાં સમયે દીપડો દેખાયો હતો. તેમણે કારમાંથી જ તેનો ફોટોગ્રાફ લીધો હોવાનું જણાવ્યું છે. આ અંગે તેમણે તરત જ વન વિભાગને પણ જાણ કરી હતી.

તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, ચાંદખેડા અને તેની આજુબાજુ રહેતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, વન વિભાગનું કહેવું છે કે માત્ર વાયરલ ફોટાના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં અને સ્થળ પર તપાસ કર્યા બાદ જ સત્તાવાર રીતે કંઈ કહી શકાય.

આ સમગ્ર મામલે આરએફઓ (RFO) સાણંદ હરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ ગઈકાલથી સતત જુદા જુદા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. દીપડો છુપાઈ શકે તેવી સંભવિત જગ્યાઓ તેમજ દીપડાને અનુકૂળ આવે તેવા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી ક્યાંય પણ દીપડો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

વન વિભાગે વધુમાં જણાવ્યું કે ચાર અલગ-અલગ સ્થળોએ ટીમોને તૈનાત કરવામાં આવી છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી દીપડો હોવાની પુષ્ટિ નહીં થાય અથવા તેની હાજરી નકારી શકાય નહીં, ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.

તાજેતરમાં ઘુમા વિસ્તારમાં પણ દીપડો દેખાયાની ઘટના સામે આવી હતી. જોકે, ચાંદખેડામાં દેખાયો હોવાનો દાવો કરાયેલો દીપડો અને ઘુમામાં જોવા મળેલો દીપડો એક જ છે કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. બંને વિસ્તારો વચ્ચે 20 કિલોમીટરથી વધુનું અંતર હોવાથી આ અંગે પણ વન વિભાગે કોઈ નિષ્કર્ષ જાહેર કર્યો નથી.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઝુંડાલ અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે શહેરી વિસ્તાર હોવાથી દીપડો ત્યાં સુધી પહોંચ્યો હોવાની શક્યતા ખૂબ ઓછી છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.

Breaking News : દીપડાનો પત્તો ન લાગતા વન વિભાગે સર્ચ ઓપરેશનનું સ્થળ બદલ્યું, જુઓ Video

Published On - 3:49 pm, Tue, 21 July 26

Follow Us