બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. ત્યારે એક દાતાએ 16.50 લાખ કિંમતના 350 ગ્રામ સોનાના બિસ્કીટનું દાન કર્યુ છે. દાતાએ પોતાની ઓળખને ગુપ્ત રાખી છે. માતાજીના દર્શને દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે.
આ પહેલા એક ભક્તે એક કિલો સોનાનું દાન કર્યું હતું
શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે માઈભક્તે 48 લાખની કિંમતનું એક કિલોગ્રામ સોનું દાન કર્યું છે. શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે ચાવડાના જણાવ્યા અનુસાર, આજે પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ તરફથી 48 લાખની કિંમતનું એક કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરમાં ભેટમાં મળ્યું છે.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : IT વિભાગનો સપાટો: રત્નમણિ અને એસ્ટ્રલમાંથી 200 કરોડના બિનહિસાબી વ્યવહારો અને કરોડોનું સોનું ઝડપાયું