SURENDRANAGAR : થાનગઢ તાલુકાના જામવાડી ગામમાં 1200 વર્ષ જુના પૌરાણીક શિવ મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. આ 1200 વર્ષ જુનું પૌરાણિક મંદિર થાનગઢથી પાંચ કિમી દૂર જામવાડી ગામ નજીક આવેલું છે. આ પ્રાચીન શિવમંદિરમાં અજાણ્યા શખ્સો તોડફોડ કરી ખાડાઓ કરી નાખતા લોકોમાં રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતા પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મંદિરમાં અજાણ્યા શખ્સોએ શિવલિંગને અને પોઠીયાને દૂર કરી નીચે ખોદકામ કર્યું છે. લોકોના પ્રાથમિક અંદાજ મુજબ મંદિર નીચે ખજાનો દટાયો હોવાની દંતકથાઓને લીધે કોઇએ આ ખજાનો મેળવવા માટે તોડફોડ કરી મંદિરમાં ખોદકામ કર્યુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શિવમંદિર રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર થયેલ છે પરંતુ હાલ સરકારની કોઇ દેખરેખ આ જગ્યા પર નથી.
Published On - 9:27 am, Thu, 29 July 21