કર્મથી ડાકુ, ધર્મથી આઝાદ… આખરે રણબીર કપૂર (Ranbir Kapoor) લાંબા ટાઈમ પછી મોટા પડદા પર જોવા મળ્યો. રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ (Shamshera) આજે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. યશરાજના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ‘શમશેરા’ને કરણ મલ્હોત્રાએ ડાયરેક્ટ કરી છે. કરણ મલ્હોત્રાએ ફિલ્મ ‘અગ્નિપથ’નું નિર્દેશન કર્યું હતું, તે ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. રણબીર કપૂર સિવાય આ ફિલ્મમાં વાણી કપૂર અને સંજય દત્ત પણ જોવા મળશે. લાંબા સમય બાદ પરત ફરી રહેલા રણબીર કપૂરની સાથે સાથે યશરાજને પણ આ ફિલ્મથી ઘણી આશાઓ છે. તો જાણો કેવી છે ફિલ્મ શમશેરા.
રણબીર કપૂરની ફિલ્મનો દર્શકોમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા જો આપણે શમશેરાની વાર્તા વિશે વાત કરીએ તો તેની સ્ટોરી 1800 ના દાયકામાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં રણબીર કપૂરનું નામ શમશેરા છે, જે એક ડાકુના રોલમાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા કાઝા નામના એક કાલ્પનિક શહેર પર આધારિત છે. આ ફિલ્મમાં આઝાદી પહેલા ભારતીયો પર અંગ્રેજો દ્વારા કરાયેલા અત્યાચારો બતાવવામાં આવ્યા છે. આમાં ડાકુ જનજાતિ પોતાના અધિકારો માટે લડે છે. અંગ્રેજોના જુલમ વચ્ચે ફિલ્મમાં શમશેરાની એન્ટ્રી થાય છે. ખાસ વાત એ છે કે લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલો રણબીર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળે છે.
રણબીરના એક પાત્રનું નામ શમશેરા અને બીજા પાત્રનું નામ ખમીરન છે. ડેયરિંગ રોલમાં જોવા મળેલા શમશેરાને અંગ્રેજોની ગુલામી પસંદ નથી અને તેમના અત્યાચારો સામે અવાજ ઉઠાવે છે. ફિલ્મમાં તે અંગ્રેજો સાથે લડવા માટે કુળ ગેંગ તૈયાર કરે છે. આ દરમિયાન અંગ્રેજોએ તેમના સામે ભયંકર અધિકારી શુદ્ધ સિંહ એટલે કે સંજય દત્તને મોકલ્યો. કરણ મલ્હોત્રાએ સંજય દત્તના પાત્રને ક્રૂર બતાવ્યું છે.
ફિલ્મના ટ્રેલરમાં જ એક્શન બતાવવામાં આવ્યું હતું. શુદ્ધ સિંહ અને શમશેરા વચ્ચે ખતરનાક એક્શન સીન જોવા મળે છે. એવું નથી કે ફિલ્મમાં માત્ર લડાઈ જ બતાવવામાં આવી છે પરંતુ રોમાન્સ પણ છે. ફિલ્મમાં વાણી કપૂરે ડાન્સર સોનાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. ફિલ્મમાં શુદ્ધ સિંહ અને શમશેરા કોણ જીતે તે માટે તમારે થિયેટરોમાં જવું પડશે.
ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટે તેમના અભિનય સાથે ન્યાય કર્યો છે. રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર – ત્રણેયએ પોત-પોતાની ભૂમિકા બેસ્ટ રીતે ભજવી છે. રસ્ટિક લુકમાં જોવા મળેલા રણબીરને જોઈને થિયેટરોમાં તાળીઓનો ગડગડાટ થયો હતો. સંજય દત્તે એક શાનદાર વિલનનું પાત્ર પણ ભજવ્યું છે. વાણી કપૂરે પોતાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી બધાને હેરાન કરી દીધા છે.
યશરાજ ફિલ્મ્સની બેક ટુ બેક ત્રણ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી. વાત કરીએ શમશેરાની તો તે મોટા બજેટમાં બનાવવામાં આવી છે. શમશેરાનું બજેટ 150 કરોડની આસપાસ છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પણ એક કારણ છે કે યશરાજને બોક્સ ઓફિસ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. થિયેટરોમાં આવતા દર્શકો તેમના ફેવરિટ સ્ટાર રણબીરને જોઈને ખૂબ જ ખુશ છે. તે ફિલ્મમાં રણબીરના પાત્રના વખાણ કરતા થાકતા નથી. ફિલ્મ પહેલા દિવસે સારું કલેક્શન કરશે તેવી અપેક્ષા છે.