
‘The India Story: સ્લો પોઇઝન ઇન પ્રોગ્રેસ’ ના મેકર્સે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેની આગામી સોશિયલ ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મ ખેતીમાં પેસ્ટીસાઇડ્સ (જંતુનાશકો) ના ઉપયોગ અને લોકો તેમજ પર્યાવરણ પર તેની લાંબાગાળે પડતી નકારાત્મક અસરોના મુદ્દાને દર્શાવે છે.
સાથે જ આ સત્ય, ન્યાય અને હિંમતની વાર્તા પણ વણે છે. 2 મિનિટ અને 35 સેકન્ડનું આ ટ્રેલર એક ઇમોશનલ વાર્તાની ઝલક બતાવે છે, જેમાં શ્રેયસ તલપડે અને કાજલ અગ્રવાલ સાથે મળીને જંતુનાશક દવાઓના કૌભાંડ સામે જંગ લડતા જોવા મળે છે.
શ્રેયસ તલપડે છેલ્લા કેટલાક દિવસોથી 34 કલાકારથી સજ્જ ‘વેલકમ ટુ ધ જંગલ’ માં પોતાની પરફોર્મન્સને લઈને ચર્ચામાં હતા. હવે તેઓ ‘The India Story’ સાથે મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે.
આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘The India Story’ માં કાજલ અને શ્રેયસ એક એવી સિસ્ટમ સામે લડે છે, જેની પાસે લોકો ન્યાયની આશા રાખતા હોય છે. તેઓ એક એવા જોખમને સામે લાવે છે, જે લાખો લોકોને પ્રભાવિત કરી રહ્યું છે.
કોર્ટરૂમ ડ્રામા, સામાજિક મુદ્દાઓ અને વ્યક્તિગત સંઘર્ષોને જોડીને આ ફિલ્મની વાર્તા બનાવવામાં આવી છે. ટ્રેલરમાં બતાવાયેલા હૃદયદ્રાવક દ્રશ્યો આ ગંભીર સંકટને કારણે લોકોની જિંદગી કેવી બરબાદ થઈ રહી છે, તે દર્શાવે છે અને અંતે જોનારાઓ પર ઊંડી છાપ છોડી જાય છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલે એક વકીલની ભૂમિકા ભજવી છે, જે જવાબદાર લોકોને પડકારે છે અને પીડિતોના ન્યાય માટે કાનૂની લડત લડે છે.
ટ્રેલરની શરૂઆત શ્રેયસ તલપડેના પાત્રથી થાય છે, જે કેન્સરના કારણે પોતાની 7 વર્ષની દીકરી ગુમાવી ચૂક્યો છે. હવે જેમ-જેમ વાર્તા આગળ વધે છે, તેમ તેમ તેમાં જંતુનાશકોના ઉપયોગવાળી ખેતીની આડઅસરો દર્શાવવામાં આવી છે અને એ બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ઝેરી કેમિકલ્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ધીમે-ધીમે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.
‘The India Story’ ના ડાયરેક્ટર ચેતન ડીકે છે અને તેને સાગર બી. શિંદેએ લખી તેમજ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 24 જુલાઈએ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તે હિન્દી, તેલુગુ તેમજ તમિલ ભાષાઓમાં આવશે.