
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને સાઉથ સુપરસ્ટાર યશની ચર્ચિત ફિલ્મ ‘Ramayana’ ને લઈને દર્શકોનો ઉત્સાહ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. મેકર્સે હવે પ્રેક્ષકો માટે આ ફિલ્મને દુનિયાભરમાં મોટાપાયે રિલિઝ કરવાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.
હવે જે મોટી માહિતી સામે આવી છે, તેના મુજબ મેકર્સે CJ 4DPLEX સાથે ખાસ સમજૂતી કરી છે, જેના હેઠળ ફિલ્મને દુનિયાભરના લગભગ 1,300 ScreenX અને 4DX ઓડિટોરિયમમાં રિલિઝ કરવામાં આવશે.
ScreenX ટેકનોલોજી ફિલ્મ જોવાના અનુભવને વધુ શાનદાર બનાવવા માટે જાણીતી છે. આમાં ફિલ્મના પસંદગીના ભાગોને સામેની સ્ક્રીનની સાથે ઓડિટોરિયમની સાઇડ વોલ (બાજુની દીવાલો) પર પણ બતાવવામાં આવે છે.
આનાથી દર્શકોને લગભગ 270 ડિગ્રીનો વિઝ્યુઅલ અનુભવ મળે છે. ‘રામાયણ’ માં પણ કેટલાક ખાસ એક્શન અને ડ્રામેટિક સીક્વન્સને ScreenX માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ મુવીના દરેક સીનને ત્રણ સ્ક્રીન પર બતાવવામાં નહીં આવે પરંતુ કેટલાક સીન્સ સાથે જ એવું કરવામાં આવશે.
ScreenX જ્યાં દર્શકોને શાનદાર વિઝ્યુઅલનો એક્સપિરિયન્સ આપશે, ત્યાં બીજી તરફ 4DX ફિલ્મના એક્શનને અનુભવવાનો મોકો આપશે. 4DX ઓડિટોરિયમમાં મુવમેન્ટ વાળી સીટોની સાથે હવા, પાણી, કંપન (વાયબ્રેશન), રોશની, સુગંધ અને અન્ય ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
‘રામાયણ’ ના કેટલાક ખાસ સીક્વન્સને 4DX માટે પણ તૈયાર કરવામાં આવ્યા છે. આનાથી દર્શકો ફિલ્મના મોટા એક્શન અને શાનદાર સીન્સને માત્ર સ્ક્રીન પર જોશે જ નહીં પરંતુ તેને અનુભવી પણ શકશે.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાંઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રા Prime Focus Studios ના બેનર હેઠળ DNEG અને યશની Monster Mind Creations સાથે મળીને કરી રહ્યા છે.
આની વાર્તા અને સ્ક્રીનપ્લે શ્રીધર રાઘવને લખ્યા છે, જ્યારે ફિલ્મનું સંગીત હોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર Hans Zimmer અને A. R. Rahman તૈયાર કરી રહ્યા છે.