UP Assembly Elections: ભાજપે યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Elections 2022) માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, તેને ધ્યાનમાં રાખીને એક સપ્તાહની અંદર આજે ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની ચોથી રેલી યોજાવા જઈ રહી છે. આજે યુપીના ત્રણ જિલ્લા મથુરા, આગ્રા, બુલંદશહેરમાં પીએમ મોદીનો જન ચૌપાલનો કાર્યક્રમ છે. બપોરે 1.30 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમ વર્ચ્યુઅલ રેલી હશે, જેને ભાજપે જન ચૌપાલ નામ આપ્યું છે.
UP બાદ PM મોદી સાંજે 5.30 વાગ્યે ઉત્તર ગોવાના લોકોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે. આ પછી 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ રેલી થવાની છે. આજે અમિત શાહ (Amit Shah) બાગપત અને અમરોહામાં પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં હવે માત્ર 4 દિવસ બાકી છે.
સીએમ યોગી પણ પશ્ચિમ યુપીમાં સતત પ્રચાર કરી રહ્યા છે. સીએમ યોગી આજે મથુરા અને અલીગઢમાં પ્રચાર કરશે. મથુરાની એક અને અલીગઢની ત્રણ વિધાનસભા બેઠકો પર પ્રચાર કરશે. રાજનાથ સિંહ બુંદેલખંડ, હમીરપુર અને મહોબામાં પ્રચાર કરશે. શનિવારે રાજનાથ સિંહ પ્રચાર માટે તાજનગરી આગ્રા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સીએમ યોગીને બુલડોઝર વાલા બાબા કહ્યા હતા.
ભાજપ રવિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. તેને ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ નામ આપવામાં આવ્યું છે. તેને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લખનૌમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિમોચન કરશે. આ સાથે જ સોમવારે સમાજવાદી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવશે. ભાજપે મિસ્ડ કોલ અને ઈ-મેઈલ દ્વારા લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે 2017માં જાહેર કરાયેલા સંકલ્પ પત્રના તમામ સંકલ્પોને પૂર્ણ કર્યા છે.
સંકલ્પ પત્ર સમિતિની રચના કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાની અધ્યક્ષતામાં વિવિધ માધ્યમો દ્વારા રાજ્યભરમાંથી મળેલા સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કરવામાં આવી હતી. અમિત શાહ તેને રવિવારે સવારે 10.15 વાગ્યે રિલીઝ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્ય ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ પ્રભારી અનુરાગ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ.દિનેશ શર્મા, સંકલ્પ પત્ર સમિતિના પ્રમુખ સુરેશ ખન્ના વગેરે ઉપસ્થિત રહેશે.