ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી મતદારોને આકર્ષવાના તમામ પ્રયત્ન કરે છે. આવનારા ત્રણ અઠવાડિયા તમામ લોકો એડીચોટીનું જોર લગાવશે તે વાતમાં કોઈ બે મત નથી. પરંતુ ગુજરાતના ઈતિહાસમાં કેટલીક બેઠકો એવી છે કે જે રાજકીય રીતે ખુબ રસપ્રદ રહી છે. કેટલીક બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળે છે તો કોઈક બેઠકો કોંગ્રેસનો ગઢ છે. આવી બેઠકો પર કંઈપણ થાય પરંતુ વર્ષોથી કોંગ્રેસ અને ભાજપ જીતતા આવ્યા છે. બીજી તરફ અનેક બેઠકો એવી છે કે જ્યાં તમામ પક્ષ જોર લગાવે છે અને ત્યાં પરિણામ બદલાય પણ છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં એવી 6 બેઠકો છે કે જયાં 27 વર્ષથી ભાજપે ક્યારેય જીત નથી મેળવી. જી હા, મોદી જેવા મુખ્યપ્રધાન આવ્યા છતાં પણ અહિંના મતદારો ક્યારેય ભાજપ સરકારથી પ્રભાવિત થયા નહી. જે એક મોટા પડકાર સમાન બાબત કહી શકાય.
27 વર્ષથી ભાજપના શાસન બાદ સ્વભાવિક જ તમને પ્રશ્ન થાય કે આખરે કઈ છે એ બેઠકો કે જ્યાં ક્યારેય કેશુભાઈ, નરેન્દ્ર મોદી, આનંદીબેન, વિજયભાઈ કે હમણાંના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈનો કોઈ રાજકીય પ્રભાવ પડ્યો નહી. આ બેઠકો છે મહુધા, ઝઘડિયા, બોરસદ, આંકલાવ, વ્યારા અને વાંસદા બેઠક કે જે બેઠકો પર ક્યારેય ભાજપ જીત્યુ નથી.
ખેડા જિલ્લાની મહુધા પર ઠાકોર તથા પાટીદારોનું મહત્વ છે. આ સિવાય ઝઘડિયા બેઠક પર બીટીપીનો દબદબો છે. અહિં 1990થી છોટુ વસાવા જીતી રહ્યા છે. બોરસદ બેઠક પર કોંગ્રેસ મજબૂત છે. આંકલાવ બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી. અહિં બે ટર્મથી કોંગ્રેસ જીતી રહી છે. વાસંદા બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. વ્યારા બેઠક પર કોંગ્રેસ સિવાય કોઈ જીત્યુ નથી. એટલે કે જાતિગત સમીકરણથી લઈને અન્ય સ્થાનિક મુદ્દાઓ આ તમામ બેઠકો પર એટલા મજબૂત છે કે 27 વર્ષમાં ક્યારેય સરકાર સતત હોવા છતાં અહિં કમળ ખીલવાથી દૂર રહ્યુ છે.
જોકે એક વાત ચોક્કસ છે કે કેટલીય બેઠકો પર અલગ અલગ મુદ્દાઓને લીધે રાજકીય પ્રભાવ ઓછો હાવી રહેતો હોય છે. ક્યાંક વિકાસના મુદ્દા તો ક્યાંક ધર્મ,જાતિના મુદ્દા. એટલે જરૂરી નથી કે શહેરોમાં 2 બેઠકો પર એક સમાન મુદ્દાઓ જ મતદારોને અસર કરે. દરેક વિધાનસભાની અલગ સમસ્યા છે અલગ વાતો છે અને એટલે જ દર વખતે ચૂંટણી રસપ્રદ બની રહે છે.